ભારતીયોને ઝટકો: 1 જાન્યુઆરીથી આ દેશે બંધ કરી વીઝા ફ્રી ટ્રાવેલ સુવિધા, જુઓ કયા કારણોસર લીધો મોટો નિર્ણય
ઈલીગલ માઈગ્રેશનને નિયંત્રિત કરવા માટે અને યુરોપિયન વિઝા પોલિસીનું પાલન કરવા માટે સર્બિયાની સરકારે ભારતીયો માટે વિઝા ફ્રી ટ્રાવેલ(Visa Free Travel)ને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે એમને એક નિવેદન પણ બહાર પાડ્યું હતું અને એ મુજબ 1 જાન્યુઆરી 2023 થી ભારતીય પાસપોર્ટ ધારકોને હવે માન્ય વિઝા વિના સર્બિયા ટ્રાવેલ કરવાની સુવિધા નહીં મળે.
આ પહેલા રાજદ્વારી અને સત્તાવાર ભારતીય પાસપોર્ટ ધારકોને 90 દિવસ માટે વિઝા વિના દેશની મુલાકાત લેવાની છૂટ હતી એ સામે સામાન્ય પાસપોર્ટ ધારકો માટે આ સમયગાળો 30 દિવસનો હતો. બહાર પાડેલ નિવેદનમાં સરકારે કહ્યું હતું કે સર્બિયામાં 30 દિવસ સુધીના વિઝા-મુક્ત પ્રવેશની વ્યવસ્થા હાલ પાછી ખેંચી લેવામાં આવી છે.
સર્બિયા દ્વારા સપ્ટેમ્બર 2017માં વિઝા-મુક્ત પ્રવેશની રજૂઆત કરવામાં આવી હતી અને સર્બિયા જતા ભારતીયો સર્બિયામાં વિઝા ફ્રી એન્ટ્રીના આધારે સર્બિયાના પડોશી દેશો અને અન્ય યુરોપીયન દેશો સહિત બીજા દેશોમાં મુસાફરી કરી શકતા નહતા. સર્બિયા સરકારની આ જાહેરાત બાદ બેલગ્રેડમાં ભારતીય દૂતાવાસે વિઝા નિયમોમાં ફેરફાર વિશે ભારતીય નાગરિકોને જાણ કરતી એક એડવાઈઝરી બહાર પાડી હતી.
એડવાઈઝરી મુજબ 1 જાન્યુઆરી 2023 થી સર્બિયા જનારા દરેક ભારતીય નાગરિકોને રિપબ્લિક ઓફ સર્બિયામાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડશે. 30 દિવસના વિઝા-મુક્ત પ્રવેશની હાલની વ્યવસ્થા સર્બિયાની સરકારે પાછી ખેંચી લીધી છે. એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વેલીડ શેંગેન, યુકે વિઝા, અથવા યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વિઝા અથવા આ દેશોમાં નિવાસી દરજ્જા ધરાવતા ભારતીયો 90 દિવસ સુધી સર્બિયામાં પ્રવેશ કરી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp