વાલ્મીકિ જયંતી ક્યારે? જાણો રામાયણના રચયિતાનો ઇતિહાસ અને તેમની સાથે જોડાયેલી રોચક વાતો
શરદ પૂર્ણિમાનો દિવસ લક્ષ્મી-ચંદ્રમાની પૂજા સિવાય વધુ એક કારણે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શરદ પૂર્ણિમા પર મહર્ષિ વાલ્મીકિની જયંતી પણ મનાવવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિને હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ ગુરુ માનવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિ પહેલા ડાકુ હતા, પરંતુ પછી એક ઘટનાએ તેમનું જીવન એવું બદલી દીધું કે ભગવાન શ્રીરામના જીવન પર આધારિત રામાયણ નામનું મહાકાવ્ય લખી દીધું. આદિકવિ કહેવાતા મહર્ષિ વાલ્મીકિનું જીવન ખૂબ જ રસપ્રદ રહ્યું છે. આ વર્ષે વાલ્મીકિ જયંતી 28 ઓક્ટોબર 2023ના રોજ આવે છે. આવો તો જાણીએ મહર્ષિ વાલ્મીકિનો ઇતિહાસ અને તેમની સાથે જોડાયેલી ખાસ વાતો.
ગ્રંથો મુજબ, મહર્ષિ વાલ્મીકિનું મૂળ નામ રત્નાકર હતું. તેમના જન્મને લઈને ઘણા મત છે. મતાનુસાર તેઓ બ્રહ્માજીના માનસ પુત્ર પ્રચેતાના સંતાન હતા. તો જાણકારો મુજબ, વાલ્મીકિને મહર્ષિ કશ્યપ- ચર્ષણીના સંતાન માનવામાં આવે છે. તેમણે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હતો, પરંતુ એક ભીલ મહિલાએ બાળપણમાં તેમનું અપહરણ કરી લીધું અને ભીલ સમાજમાં તેમનું પાલન-પોષણ થયું. ભીલ લોકો જંગલના માર્ગે પસાર થતાં લોકોને લૂંટી લેતા હતા. રત્નાકરે પણ આ જ પરિવાર સાથે લૂંટવાનું કામ શરૂ કરી દીધું.
પૌરાણિક માન્યતાઓ મુજબ, એક વખત નારદ મુનિ જંગલના માર્ગે જતાં ડાકુ રત્નાકર સામે આવી ગયા. નારદે રત્નાકરને કહ્યું કે, આ કુકર્મથી તેણે કંઇ હાંસલ કર્યું નહીં હોય. રત્નાકરે કહ્યું કે, તેઓ આ બધુ પરિવાર માટે કરે છે. ત્યારે નારદ મુનિએ રત્નાકરને સવાલ કર્યો કે શું તમારા પરિવારજનો પણ તમારા ખરાબ કર્મોના ભાગીદાર બનશે? રત્નાકરે પોતાના પરિવારજનો પાસે જઈને નારદ મુનિએ કરેલો સવાલ કર્યો. જેના પર પરિવારજનોએ ચોખ્ખી ના પાડી દીધી. ડાકુ રત્નાકરને આ વાતથી ખૂબ ઝટકો લાયો અને તેમનું હૃદય પરિવર્તન થઈ ગયું.
નારદ મુનિના કહેવા પર રત્નાકરે રામ નામનો જાપ શરૂ કરી દીધો, પરંતુ તેમના મોઢેથી ‘મરા મરા’ જ શબ્દ નીકળી રહ્યા હતા. નારદ મુનિએ કહ્યું કે, જો એમ જ રટણ કરતાં રહો તેમાં રામ છૂપાયેલા છે. પછી રત્નાકરે રામ નામની એવી અલખ જગાવી કે તેમને પોતે પણ જ્ઞાત ન રહ્યું કે, તેમના શરીર પર ઊધઈએ રાફડો બનાવી લીધો છે. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ દર્શન દીધા અને તેમના શરીર પર લાગેલા રાફડાને જોયો તો રત્નાકરને વાલ્મીકિ નામ આપ્યું.
બ્રહ્માજીએ મહર્ષિ વાલ્મીકિને રામાયણ રચવાની પ્રેરણા આપી. તેમણે રામાયણ સંસ્કૃતમાં લખી હતી, જેને સૌથી પ્રાચીન રામાયણ માનવામાં આવે છે. તેમાં 24,000 શ્લોક છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp