ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ઇન્ડિયન ઓઈલે લોકોને કરી આ અપીલ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ ચલાવીને પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણાઓને તબાહ કરી દીધા હતા. ત્યારથી હવે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને માર્યા એટલે પાકિસ્તાન બોખલાયું છે અને ભારત પર હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારતીય સેનાય જેમતેમ પીછેહઠ કરે તેવી નથી, તે પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે અને દરેક નાપાક હરકતને નિષ્ફળ બનાવી રહી છે. પાકિસ્તાને ગઇકાલે ભારતના કેટલાક શહેરોને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને તેનો સેનાએ જડબાતોડ જવાબ કાલે રાત્રે જ આપી દીધેલો. પાકિસ્તાનની નાપાક હરકતને લઈને સાવચેતની પગલાં રૂપે ગઇકાલે રાત્રે સીમા નજીક આવેલા ભારતના ઘણા શહેરોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન ઇન્ડિયન ઓઈલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દેશના લોકોને ખાસ અપીલ કરી છે.
ઇન્ડિયન ઓઇલે શુક્રવારે ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘ઇન્ડિયન ઓઇલ પાસે દેશભરમાં પુષ્કળ પ્રમાણમાં ઇંધણ ઉપલબ્ધ છે અને અમારી સપ્લાય લાઇન સંપૂર્ણપણે કાર્યરત છે. ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂરિયાત નથી. અમારા બધા આઉટલેટ્સ પર ઇંધણ અને LPG સરળતાથી ઉપલબ્ધ છે.’ કંપનીએ લોકોને અપીલ કરી કે, ‘તેઓ શાંત રહે અને બિનજરૂરી ભીડ ન કરે, જેથી પુરવઠા વ્યવસ્થા અકબંધ રહે અને બધાને કોઈપણ સમસ્યા વિના તેલ મળી શકે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પંજાબના એક પેટ્રોલ પંપ માલિકે જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં તેમના વેચાણમાં ત્રણ ગણો વધારો થયો છે. તેમણે કહ્યું કે, ‘લોકો ડરી ગયા છે અને રાશન તેમજ ઇંધણનો સંગ્રહ કરી રહ્યા છે.’ વાસ્તવમાં, આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ‘ઓપરેશન સિંદૂર’ બાદ દેશમાં તણાવનો માહોલ છે. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં 9 સ્થળોએ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા બાદ પરિસ્થિતિ સંવેદનશીલ બની છે. ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો. ત્યારથી, નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર અને તોપમારાના બનાવોમાં વધારો થયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp