પટના: બિહાર સરકારના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મોહમ્મદ જમાં ખાને (Mohammad Zama Khan) ધર્મપરિવર્તનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેઓ કહે છે કે તેમના પૂર્વજો હિન્દુ રાજપૂત (Hindu Rajput) હતા. પરંતુ બાદમાં તેમણે ઈસ્લામ (Islam) ધર્મ સ્વીકાર્યો હતો. તેમના કહેવા મુજબ, આજે પણ તેમના પૂર્વજોના ઘણા રાજપૂત વંશજો છે, જેમની સાથે તેમના પારિવારિક સંબંધ છે.
લઘુમતી કલ્યાણ મંત્રી જમાં ખાને આ નિવેદન પત્રકારો સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. દેશભરમાં ધર્મ પરિવર્તનના વધતા મામલા અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે તેમના પરિવારના ઈતિહાસ વિશે પત્રકારોને જણાવ્યું હતું.
મંત્રીએ કહ્યું કે તેના પૂર્વજો જયરામસિંહ અને ભગવાનસિંહ નામના બે ભાઈઓ હતા. એક યુદ્ધ જીત્યા પછી, તે બંને કૈમૂર વિસ્તારમાં સ્થાયી થયા. પાછળથી ભગવાનસિંહ મુસ્લિમ બન્યા હતા. મંત્રી જમાં ખાને કહ્યું કે તેઓ ભગવાનસિંહના પરિવારમાંથી આવે છે. જ્યારે જયરામસિંહના વંશના લોકો હજુ પણ હિન્દુ છે. આજે પણ બંને પરિવારો વચ્ચે વ્યવહાર થાય છે અને પારિવારિક સંબંધ બરકરાર રહ્યા છે.
આજની પરિસ્થિતિ અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું, ‘કોઈને ધર્મ પરિવર્તન માટે દબાણ કરી શકાય નહીં. જો કોઈ મારા માથા પર પિસ્તોલ મૂકી દે તો પણ હું મારો ધર્મ બદલીશ નહીં. એ જ રીતે, કોઈ અન્ય વ્યક્તિ બળજબરીથી તેનો ધર્મ બદલશે નહીં.’ તેમણે કહ્યું કે જો કોઈ સ્વેચ્છાએ ધર્મપરિવર્તન કરવા ઈચ્છે તો તે ઠીક છે, પરંતુ બળજબરીથી આવું નહીં થઇ શકે. રાજ્ય સરકાર આવું થવા દેશે નહીં.’
તેમણે વાતચીત દરમિયાન કહ્યું, ‘ધર્મનો મામલો પ્રેમ સાથે જોડાયેલો છે, કોઈ બળજબરી નથી કરી શકતો. ધર્મપરિવર્તન ભાઈચારા અને પ્રેમથી થાય છે. મારા પૂર્વજો હિંદુ હતા પરંતુ કોઈ પિસ્તલ માથે મૂકી દે તો શું ધર્મ પરિવર્તન કરી લેવાનું? બિલકુલ નહીં કરીએ. જેઓ બળજબરીથી આવું કરી રહ્યા છે તેઓ બચશે નહીં. બિહારમાં જે સરકાર છે તે આવા લોકોને છોડશે નહીં. કોઈ પોતાની રીતે ઈચ્છાથી કરે તો ઠીક છે બાકી બળજબરીથી કોઈ આવું કરતા પકડાય તો તેમને સજા થશે.’
ઉલ્લેખનીય છે કે બિહારના લઘુમતી કલ્યાણ પ્રધાન જમાં ખાન બસપાની ટિકિટ પર કૈમૂર જિલ્લાના ચૈનપુરથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ વિજય બાદ તેઓ જેડીયુમાં જોડાઈ ગયા. પછીથી નીતીશ સરકારે તેમને મંત્રી બનાવ્યા. તેઓ કૈમૂરના નૌગડા ગામના રહેવાસી છે જ્યાં તેમના પિતા મોટા ખેડૂત છે. તેમણે એમ પણ કહ્યું કે, નીતીશ કુમારને મુસ્લિમોએ મત ન આપ્યા છતાં તેઓ તેમનું ધ્યાન રાખે છે અને મંત્રીમંડળમાં પણ તેમણે મુસ્લિમને સ્થાન આપ્યું છે.