ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની 13 મિલકતોની હરાજી કરશે બેંક, કોર્ટ તરફથી મળી મંજૂરી
PNB Fraud: મુંબઈની એક ખાસ કોર્ટે ગુરુવારે પંજાબ નેશનલ બેંક (PNB) લોન છેતરપિંડી કેસના મુખ્ય આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડની 13 મિલકતોની હરાજીની મંજૂરી આપી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) સંબંધિત કેસોની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ કોર્ટના જસ્ટિસ એસ. એમ. મેન્જોગેએ, સત્તાવાર લિક્વિડેટરની અરજી સ્વીકારતા કહ્યું કે જો મિલકતને જાળવણી વિના ખાલી રાખવામાં આવે છે તો તેનાથી ચોક્કસપણે તેની કિંમત ઘટી જશે.
મુંબઈ કોર્ટે ગીતાંજલી જેમ્સની જે 13 મિલકતોની હરાજી મંજૂર કરી છે તેમાં મુંબઈના સાંતાક્રુઝ સ્થિત ખેની ટાવરમાં 7 ફ્લેટ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના ભારત ડાયમંડ બોર્સમાં એક કોમર્શિયલ યુનિટ, સુરતમાં ડાયમંડ પાર્કમાં 4 ઓફિસ યુનિટ અને ત્યાં એક દુકાનનો સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું કે, મૂલ્યાંકન/હરાજીના હેતુ માટે થયેલા તમામ ખર્ચને બાદ કર્યા બાદ હરાજીમાંથી મળેલા પૈસા FD (વિશેષ કોર્ટની તરફેણમાં)ના રૂપમાં જમા કરવામાં આવશે.
કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC)એ એપ્રિલ 2019ના રોજ એક ઠરાવ દ્વારા લિક્વિડેશન પ્રોસિડિંગ શરૂ કરી હતી અને નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (NCLT) દ્વારા શાંતનુ રેને લિક્વિડેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, સ્પેશિયલ કોર્ટે લિક્વિડેટરને ગીતાંજલિ જેમ્સની સુરક્ષિત સંપત્તિનું મૂલ્યાંકન કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ લિક્વિડેટરે અસુરક્ષિત સંપત્તિના મૂલ્યાંકન અને હરાજી માટે કોર્ટમાં અરજી કરી હતી. ED વતી હાજર રહેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર કવિતા પાટીલે જણાવ્યું હતું કે એજન્સીને અરજી સામે કોઈ વાંધો નથી.
EDના મતે, આ છેતરપિંડી અબજપતિ ઝવેરી નીરવ મોદી અને તેના કાકા, ગીતાંજલી જેમ્સના પ્રમોટર મેહુલ ચોક્સી દ્વારા કરવામાં આવી હતી. આ બંને પર ભારતીય બેંકોની વિદેશી શાખાઓના પક્ષમાં જાહેર કરાયેલા 12,636 કરોડ રૂપિયાના છેતરપિંડીભર્યા દાવાઓના આધારે લેટર ઓફ અંડરટેકિંગ (LoU) અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ (FLC) મેળવવાનો આરોપ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp