ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થતા હવે તબક્કાવાર વધુ છૂટછાટો આપવામાં આવી રહી છે. સરકારે આઠ મહાનગરોના રાત્રિ કર્ફ્યુમાં એક કલાકનો ઘટાડો કરીને રાત્રિના 11 થી સવારે 6 નો કર્યો છે. ઉપરાંત પણ અન્ય નિયંત્રણો હળવા કર્યા છે. આ તમામ નિયમો આવતીકાલ 31 જુલાઈથી લાગુ થશે. પરંતુ આ પહેલા સરકારે ગાઈડલાઈનને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે.
સરકારે કહ્યું છે કે લગ્ન પ્રસંગોને સામાજીક કાર્યક્રમો ગણવામાં ન આવે. સરકારે સામાજીક કાર્યક્રમોમાં 400 લોકોની પરવાનગી આપી છે. પરંતુ લગ્ન પ્રસંગો માટે 150 લોકોની મર્યાદા જ લાગુ રહેશે. આ સાથે અંતિમ વિધિ માટે 40 લોકોની મંજૂરી આપવામાં આવી છે. સરકારે જાહેરનામુ બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે સામાજિક પ્રસંગોમાં લગ્નની ગણતરી કરવામાં ન આવે.
બે દિવસ પહેલા સરકારની કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં રાત્રિ કર્ફ્યુ અને અન્ય નિયંત્રણોને લઈને નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની સમયમર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ હાલ રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈથી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ 8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
ઉપરાંત, રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવા માટે વ્યક્તિનો મર્યાદા તારીખ 31 જૂલાઈ થી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી છે. આ પહેલા આ મર્યાદા 200 વ્યક્તિનોની હતી. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે સમારોહ યોજવાના રહેશે.
સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ દરમિયાન સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો હતો.
સરકારની આ ગાઈડલાઈન બાદ મૂંઝવણ હતી કે લગ્ન પ્રસંગોને ‘સામાજિક પ્રસંગો’માં ગણવા કે નહીં. કારણ કે સરકારે લગ્ન માટે અને સામાજિક પ્રસંગો માટે અલગ-અલગ સંખ્યામાં લોકોની મર્યાદા રાખી છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરીને કહ્યું છે કે લગ્નમાં 150 લોકોની મંજૂરી યથાવત રહેશે.