જૂનાગઢ : જૂનાગઢના એક ઉચ્ચ અધિકારી હાલમાં કોરોના વિષે જાગૃતિ ફેલાય એ હેતુથી ગઝલો લખી રહ્યા છે. કોરોનાથી સુરક્ષિત રહેવાનો સંદેશ આપતી એમની ગઝલો હાલમાં સોશિયલ મીડિયા ઉપર પણ વાઈરલ થઇ રહી છે.
જૂનાગઢના શિક્ષણાધિકારી (DEO) શ્રી નૈષધ મકવાણા સાહિત્યનો જીવ છે. તેઓ કોલેજ કાળથી જ સાહિત્ય-ગઝલોમાં પ્રવૃત્ત રહ્યા છે. એમના પિતાશ્રી વ્યવસાયે શિક્ષક હોવાની સાથે જ એક જાણીતા ભજનિક પણ હતા. પિતાના આ ગુણ એમને વારસામાં મળ્યા છે. નૈષધભાઈએ જાણીતા કવિ અને શિક્ષક શ્રી રશીદ મીર પાસે છંદ સહિતની ટેકનિકલ બાબતોનું જ્ઞાન મેળવેલું. વડોદરામાં પોસ્ટિંગ હતું એ દરમિયાન તેઓ વડોદરાની બુધ સભાની પણ નિયમિત મુલાકાત લેતા.
હાલમાં એમનું પોસ્ટિંગ જૂનાગઢ ખાતે છે, ત્યારે ગિરનાર તથા જૂનાગઢ શહેર વિષે પણ એમણે ગઝલો-લેખો લખ્યા છે. સરકારી નોકરી અને જવાબદારીવાળું પદ હોવા છતાં તેઓ સાહિત્ય અને પ્રકૃતિ માટે સમય કાઢી જ લે છે. તેમણે કવિતાઓ-ગઝલો અને સાંપ્રત સમય અંગેના કેટલાક પુસ્તકો પણ લખીને પ્રકાશિત કર્યા છે. પ્રકૃતિ વિષે લખાયેલા એમના કાવ્યોનો એક સંગ્રહ “ખેતરને શેઢેથી” પણ પ્રકાશિત થઇ ચૂક્યો છે.
હાલમાં કોરોનાનો કેર ફેલાયો છે ત્યારે સૌથી વધારે જરૂર લોકોમાં જાગૃતિ આણવાની છે. નૈષધભાઈ પોતાની ગઝલો વડે આ કામ કરી રહ્યા છે. હાલમાં જ એમણે લખેલી એક ગઝલ સોશિયલ મીડિયા પર ખાસ્સી વાઈરલ થઇ રહી છે.
કોરોના છે દુશ્મન છૂપે વેશ ઉભો છે,
શી ખબર કે કોની અંદર કેસ ઉભો છે
ચેતવણીનો ડંકો દઇ દરવેશ ઉભો ત્યાં,
એની સાથે જુઓ આખો દેશ ઉભો છે
જેણે જેણે અવગણ્યો કુદરતનો ધારો,
એના જીવનું જોખમ છે અંદેશ ઉભો છે
હૂંફાળું જળ, લીંબુ, આદુ, હળદર કાવો
શક્તિ માટે લઇ લે આ ઉપદેશ ઉભો છે
પોતે ભીતર નહીં જુએ તો જોવા મળશે
ક્યાંક પડેલો માણસનો અવશેષ ઉભો છે
તુ ભટકે પણ તારી અંદર એ ધબકે છે,
બુધ્ધ, જિન, ઇસુ, અલ્લા, અવધેશ ઉભો છે
શી છે તારી હસ્તી પામર જીવ કહે તું?
અહંકાર ત્યાગી દે આ સંદેશ ઉભો છે
સામાન્ય રીતે એવી છાપ છે કે ઉચ્ચ સરકારી અધિકારીઓ શુષ્ક અને રુક્ષ પ્રકૃતિના હોય છે. એમને માત્ર પોતાના કામની બાબતમાં જ રસ પડતો હોય છે. પરંતુ આ બધા વચ્ચે કેટલીક વાર એવા કવિહૃદય ઉચ્ચ અધિકારીઓ પણ સરકારી ખાતાઓમાં જોવા મળી જાય છે, જે રણમાં મીઠી વીરડી સમાન હોય. સરકારી કચેરીઓના નીરસ વાતાવરણમાં પણ તેઓ ક્રિએટીવ રહી શકતા હોય છે. એટલું જ નહિ પણ તેમની ક્રિએટીવીટીનો લાભ ઘણી વાર જાહેર જનતાને પણ મળતો હોય છે.