વિદેશ જનારાઓ સાવધાન! યુરોપ જવા નીકળેલો પરિવારને યુદ્ધગ્રસ્ત દેશમાં પહોંચાડવામાં આવ્યો! માંગી રહ્યા છે કરોડોની ખંડણી, જાણો સમગ્ર મામલો
વિદેશ જવા માટે ઘેલા થયેલા ગુજરાતીઓ માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામનો એક પરિવાર જે યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે દેશ છોડી નીકળ્યો હતો. પરંતુ એજન્ટોએ છેતરીને પોર્ટુગલને બદલે જોખમી દેશ લિબિયા મોકલી દેવામાં આવ્યા છે. અને ચોંકાવનારી વાત એ છે કે, હાલમાં આ સમગ્ર પરિવારને લિબિયામાં બંધક બનાવી દેવામાં આવ્યો છે અને હવે તેમની મુક્તિ માટે 2 કરોડ રૂપિયા ખંડણીની માંગણી કરવામાં આવી રહી છે.
મહેસાણાના બાદલપુરા ગામના રહેવાસી કિસ્મતસિંહ ચાવડા તેમનાં પત્ની હીનાબેન અને તેમની માત્ર 3 વર્ષની બાળકી સાથે દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા. પરંતુ પરિવારને યુરોપમાં સ્થાયી કરાવવાના સપના બતાવનારા કથિત એજન્ટોએ મોટી રકમ વસૂલ્યા બાદ તેમને છેતરીને પોર્ટુગલના બદલે યુદ્ધગ્રસ્ત અને અત્યંત જોખમી ગણાતા લિબિયા દેશમાં મોકલી દીધા હતા. માહિતી મુજબ, લિબિયા પહોંચ્યા બાદ આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવી અપહરણકર્તાઓ દ્વારા જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપવામાં આવી રહી છે.
બંધક પરિવારે મહેસાણા ખાતેના પોતાના પરિવારજનોનો સંપર્ક કરીને આ દુઃખદ પરિસ્થિતિની જાણ કરતા આ સમગ્ર ઘટના ભર આવી હતી. શરૂઆતમાં અપહરણકર્તાઓ દ્વારા 54,000 ડોલરની માંગણી કરવામાં આવી હતી. પરંતુ હવે આ કાવતરામાં સંડોવાયેલા દુબઈના એજન્ટોએ પરિવારને મુક્ત કરવા માટે વધુ રુ. 1 કરોડની ખંડણીની માંગી છે. આમ, કુલ ખંડણીની રકમ 54,000 ડોલર અને 1 કરોડ મળીને લગભગ રૂપિયા 2 કરોડ સુધી પહોંચી છે.
ત્યારે હવે પીડિત કિસ્મતસિંહ ચાવડાના પરિવારે આ સમગ્ર કાવતરામાં હર્ષિત મહેતા નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. દાવા મુજબ આ વ્યક્તિ અને અન્ય એજન્ટોના વિશ્વાસઘાતને કારણે તેમનો પરિવાર હાલમાં લિબિયામાં મોત અને જિંદગી વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરીને સંડોવાયેલા એજન્ટો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. હાલમાં આ મામલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp