આજે સાતમું નોરતું : કાલરાત્રિ માતા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો
10/12/2021
Religion & Spirituality
નવરાત્રિ: આજે નવરાત્રિના સાતમા નોરતે નવદુર્ગાના કાલરાત્રિ સ્વરૂપનું પૂજન-અર્ચન થાય છે. મા કાલરાત્રિ દુષ્ટોનો નાશ કરનાર છે. એવું માનવામાં આવે છે કે માતા કાલરાત્રિની પૂજા કરનાર ભક્તો પર માતા રાણીની વિશેષ કૃપા રહે છે. આ દિવસે સાધકનું મન ‘સહસ્રાર ચક્ર’માં સ્થિત હોય છે. એટલે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ખૂલવા માંડે છે.
દેવીના આ રૂપના આગમન માત્રથી તમામ રાક્ષસો, ભૂત-પ્રેત-પિશાચ અને નકારાત્મક ઊર્જાઓ પલાયન કરી જાય છે. કાલરાત્રિ માતાના શરીરનો રંગ ગાઢ અંધકાર સરીખો કાળો છે. માથાના વાળ ખુલ્લાં હોય છે. ગળામાં વીજળીની જેમ ચમકતી માળા હોય છે. માતાને ત્રણ નેત્રો હોય છે. જેમાંથી વીજળી જેવી ચમકદાર કિરણો નીકળતી રહે છે. માતા નાક વાટે શ્વાસોચ્છવાસ લે ત્યારે પણ અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળે છે. મા કાલરાત્રિનું વાહન ગદર્ભ છે.
મા કાલરાત્રિના સ્વરૂપની વાત કરીએ તો માતા રાણીને ચાર હાથ છે. કાલરાત્રિ માતા ચાર ભુજાધારી છે. જમણી બાજુની બે ભુજાઓ પૈકીની ઉપર ઉઠેલી ભુજા વડે માતા વરદાન પ્રદાન કરે છે. જ્યારે નીચે રાખેલો હાથ અભય મુદ્રા દર્શાવે છે. તે એક હાથમાં ખડ્ગ (તલવાર), બીજા હાથમાં લોખંડનું હથિયાર, ત્રીજા હાથમાં વરમુદ્રા અને ચોથા હાથમાં અભય મુદ્રા ધરાવે છે.
મા કાલરાત્રિની પૂજા પદ્ધતિ
નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. સ્નાનાદિ કર્મ પતાવીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. માતા રાણીને અક્ષત, ફૂલ, ધૂપ, ગંધક, ગોળ અને નૈવેદ્ય વગેરે વિધિપૂર્વક અર્પણ કરવું. મા કાલરાત્રિને રાતરાણીના ફૂલો અર્પણ કરવા શુભ માનવામાં આવે છે. માતાને લાલ રંગ પસંદ છે. પૂજા બાદ મા કાલરાત્રિના મંત્રોનો જાપ કરવો જોઈએ. ત્યાર બાદ મા દુર્ગાની આરતી કરવી. મા કાલરાત્રિને ગોળમાંથી બનેલો નૈવેદ્ય ધરાવવો. માતાની પૂજા કરતી વખતે માથું ખુલ્લું ન રાખવું. સાફ વસ્ત્રથી ઢાંકી રાખવું.
પૌરાણિક કથા
પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કરેલું હતું. માતાજીની ઉપાસના કરતા યમ, નિયમ, અને સંયમનુ પૂર્ણ પાલન કરવું જોઈએ અને મન, વચન, અને કાયાની પવિત્રતા રાખવી જોઈએ.
મા કાલરાત્રિનું ધ્યાન
કરાલવંદના ધોરાં મુક્તકેશી ચતુર્ભુજામ્ |
કાલરાત્રિ કરાલિન્કા દિવ્યાં વિદ્યુતમાલા વિભૂષિતામ્ ||
દિવ્યં લોહવજ્ર ખડ્ગ વામોધોધ્ર્વ કરામ્બુજામ્ |
અભયં વરદાં ચૈવ દક્ષિણોધ્વાધ: પાર્ણિકામ્ મમ ||
મહામેઘ પ્રભાં શ્યામાં તક્ષા ચૈવ ગર્દભારુઢા |
ઘોરદંશ કરાલાસ્યાં પીનોન્ન્ત પયોધરામ્ ||
સુખ પપ્રસન્ન વદના સ્મેરાન્ન સરોરુહામ્ |
એવં સચિયંતયેત્ કાલરાત્રિમ્ સર્વકામ્ સમૃદ્ધિદામ્ ||
મા કાલરાત્રિના ઉપાસના મંત્રો
યા દેવી સર્વભૂતેષુ માઁ કાલરાત્રિ રૂપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ||
એક વેધી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા |
લમ્બોષ્ઠી કર્ણિકાકણી તૈલાભ્યક્તશરીરિણી ||
વામપદોલ્લસલ્લોહલતાકણ્ટક ભૂષણા |
વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિભયંકરી ||
દેવી કાલરાત્રિ કવચ
ઓમ ક્લીં મે હ્રદયં પાતુ પદૌ શ્રીકાલરાત્રિ |
લલાટે સતતં પાતુ તૃષ્ટગ્રહ નિવારિણી ||
રસનાં પાતુ કૌમારી, ભૈરવી ચક્ષુષોર્ભમ |
કટૌ પૃષ્ઠે મહેષાણી, કર્ણોશંકરભામિની ||
વર્જિતાની તુ સ્થાનાભિ યાનિ ચ કવચેન હિ |
તાનિ સર્વાણી મે દેવીસતતંપાતુ સ્તમ્ભિની ||
મા કાલરાત્રિની પૂજાનું ફળ
મા કાલરાત્રિ દેખાવમાં ભલે ભયંકર હોય, પણ તેઓ હંમેશા શુભ ફળ આપે છે. આથી જ તેમણે ‘શુભાન્કારી માતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાના ભક્તોએ માતાના વિકરાળ સ્વરૂપથી ડરવાની સહેજે જરૂર નથી. એ સ્વરૂપ માત્ર દુષ્ટ તત્વો માટે છે. એમના આ સ્વરૂપથી દાનવો, ભૂત-પ્રેત-પિશાચ, દુષ્ટ તત્વો, નકારાત્મક ઉર્જા વગેરે ભય પામીને પલાયન થઇ જાય છે. મા કાલરાત્રિ ગ્રહ બાધાઓને પણ દૂર કરે છે. એમના ઉપાસકોને અગ્નિ, જળ, જંતુ, શત્રુ, રાત્રિનો ભય નથી લાગતો. મા કાલરાત્રિની નિરંતર સાધના કરનારો મનુષ્ય ભય-મુક્ત બને છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp