મંત્રીમંડળના વિસ્તરણના આખરી ઓપ વચ્ચે પીએથી માંડીને પટાવાળામાં ફફળાટ, જાણો કારણ
ગુજરાતના રાજકારણમાં રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ત્યારે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓ આજે (16મી ઓક્ટોબર) એકસાથે રાજીનામા આપે એવી શક્યતાઓ છે. માહિતી પ્રમાણે, આજે બપોરે ત્રણ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જૂના મંત્રીમંડળની અંતિમ બેઠક મળશે, જેમાં આ નિર્ણય લેવાઈ શકે છે. શુક્રવારે (17મી ઓક્ટોબર) ના રોજ મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ યોજાવાનો છે. આ સમારોહ બાદ તરત જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે.
માહિતી અનુસાર, ભાજપ 2021ની 'નો-રિપીટ' થિયરીને અપનાવી શકે છે. વર્તમાન 16 સભ્યોના મંત્રીમંડળમાંથી લગભગ એક ડઝન મંત્રીઓને દૂર કરીને, અંદાજે 14થી 15 નવા મંત્રીઓનો સમાવેશ કરાશે. આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે નાયબ મુખ્યમંત્રીના પદ માટે આદિવાસી વ્યક્તિની નિમણૂકની અટકળો છે. આ મોટા ફેરફારોનું મુખ્ય કારણ આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના કારણે ગુજરાતના આદિવાસી પટ્ટા અને સૌરાષ્ટ્રમાં ભાજપને મળી રહેલા પડકારો ગણવામાં આવે છે.
કેન્દ્રીય નેતાઓ પણ મંત્રીમંડળમાં ફેરફારમાં હાજર રહે તેવી શક્યતા છે. આ વખતે નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.
અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.
મંત્રીમંડળનુ વિસ્તરણ નજીક છે ત્યારે બુધવારે મોટાભાગના મંત્રીઓની ગેરહાજરી જોવા મળી હતી. વિકાસ સપ્તાહના સમાપના બહાને મંત્રીઓ ડોકાયાં જ ન હતાં. આ મામલે મંત્રીઓના પીએથી માંડીને પટાવાળા ચિંતાતુર જોવા મળ્યાં હતાં. કેમ કે, મંત્રીઓના સ્ટાફને પણ વિદાયનો ડર સતાવી રહ્યો છે. કોની વિકેટ પડશે અને કોણ યથાવત રહેશે તેની ચર્ચા ચાલતી રહી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp