સીએમ ભુપેન્દ્ર પટેલનો એક દિવસીય દિલ્હી પ્રવાસ! આ મંત્રીઓના કપાશે પત્તા? જાણો વિગતો
અમિત શાહના ગુજરાત પ્રવાસના પહેલા જ દિવસે રાજકારણમાં બદલાવની અટકળો તેજ થઈ ગઇ છે. આ એક દિવસમાં એકસાથે એટલી બેઠકો યોજાઈ કે ભાજપમાં નવો ગણગણાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. અનેક અટકળોના અંતે નવરાત્રી દરમ્યાન મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. વર્તમાન ક્યા મંત્રી કપાશે અને ક્યા નવા ચહેરા આવશે તે અંગે અટકળો વહેતી થઇ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. તેમના એક દિવસના દિલ્હી પ્રવાસમાં ગુજરાતની રાજનીતિમાં નવાજૂની તખ્તો ગોઠવાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
અમિત શાહનું સી.આર. પાટીલના ઘરે ડીનર, શંકર ચૌધરીનું અચાનક સુરત દોડી જવું અને રાજકોટમાં બંધબારણે નેતાઓ સાથેની બેઠકથી રાજકારણમાં કંઈક નવાજૂની થશે તેવી શક્યતા પ્રબળ બની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતોના અંતે કેબિનેટના વિસ્તરણને પાકાપાયે મંજૂરી મળી ગઇ છે. ખાસ કરીને નબળો દેખાવ કરનારા મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે અને પાર્ટીના સંગઠનમાં જે અસંતોષને તેને ખાળવા માટે નવા ચહેરાઓને કેબિનેટમાં સમાવવામાં આવશે.
રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓ પ્રમાણે ચાર વર્ષ પછી થનારા વિસ્તરણમાં 12 થી 15 નવા ચહેરા સામે આવી શકે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ 2027માં થવાની છે ત્યારે તે પહેલાં કેબિનેટનું વિસ્તરણ કરીને ભાજપ હાઇકમાન્ડ સત્તા વિરોધી પરિબળને દૂર કરવા માગે છે. ભૂતકાળમાં પણ હાઇકમાન્ડે આખે આખું મંત્રીમંડળ બદલી નાંખ્યું હોવાના દાખલા છે.
હાલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ઉપરાંત કનુભાઇ દેસાઇ, બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, મુળુ બેરા અને કુબેર ડિંડોર મળીને કેબિનેટના આઠ સભ્યો છે. જ્યારે સ્વતંત્ર હવાલો ધરાવતા બે રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા છે. એ ઉપરાંત રાજ્યમંત્રીમાં બીજા છ મંત્રીઓ – મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભિખુભાઇ પરમાર, બચુ ખાબડ, પરસોત્તમ સોલંકી અને કુંવરજી હળપતિ છે.
એવું માનવામાં આવે છે કે કેબિનેટમાંથી ત્રણ અને રાજ્યકક્ષામાંથી છ મંત્રીઓ પડતા મૂકાઇ શકે છે પરંતુ છેલ્લી ઘડીએ કયો નિર્ણય લેવાય છે તે મંત્રીમંડળની શપથવિધિ સમયે ખબર પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે, કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના કારણે ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. એટલું જ નહીં એક ડઝન કરતાં વધુ સભ્યોની કામગીરી સામે સંતોષજનક દેખાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp