નોબેલ પ્રાઇઝ ન મળવાની આડઅસર! ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્રમ્પનું વધું એક ચોંકાવનારું જૂઠાણું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર ન મળવાથી મોટો ઝટકો લાગ્યો, પરંતુ તેઓ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો શ્રેય લેવામાં અડગ રહ્યા. ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ટેરિફની ધમકી આપીને વિશ્વભરમાં ઘણા યુદ્ધો અટકાવ્યા છે. સોમવારે (13 ઓક્ટોબર) ઇઝરાયલ જતા પહેલા ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ બધાને ખુશ કરશે, એમ કહીને કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે.
ANIના અહેવાલ મુજબ, ટ્રમ્પે એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ‘ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે, અને મને વિશ્વાસ છે કે યુદ્ધવિરામ કરાર ચાલુ રહેશે. તે ચાલુ રહેવાના ઘણા કારણો છે, પરંતુ મને લાગે છે કે લોકો તેનાથી કંટાળી ગયા છે.’ અમે બધાને ખુશ કરીશું, પછી ભલે તે યહૂદી હોય, મુસ્લિમ હોય કે આરબ દેશ. ઇઝરાયલ બાદ, અમે ઇજિપ્ત જઈશું અને બધા શક્તિશાળી અને મુખ્ય દેશોના નેતાઓ સાથે મળીશું. તેઓ બધા આ કરારનો હિસ્સો છે.’
ટ્રમ્પે પાકિસ્તાન-અફઘાનિસ્તાન યુદ્ધનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ‘આ મારું આઠમું યુદ્ધ હશે જેને મેં અટકાવ્યું છે. મેં સાંભળ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ મારે મારે રાહ જોવી પડશે. હું વધુ એક યુદ્ધ સમાપ્ત કરી રહ્યો છું. હું યુદ્ધો રોકવામાં નિષ્ણાત છું. મેં ઘણા યુદ્ધો બંધ કરાવ્યા છે જે વર્ષોથી ચાલી રહ્યા હતા, જેમાં 31 વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો પણ સમાવેશ થાય છે."
ટ્રમ્પને આ વખતે નોબેલ પુરસ્કાર મળી શક્યો નથી, પરંતુ તેઓ તેનો ઉલ્લેખ કરતા પોતાને ન રોકી શક્યા. ટ્રમ્પે કહ્યું કે, ‘મેં લાખો લોકોના જીવ બચાવ્યા. મેં આ નોબેલ પુરસ્કાર માટે નથી કર્યું, પરંતુ મેં લોકોના જીવ બચાવવા માટે યુદ્ધો બંધ કર્યા.’
તેમણે કહ્યું કે, ‘મેં ફક્ત ટેરિફના દમ પર યુદ્ધો બંધ કરાવ્યા. ઉદાહરણ તરીકે, ભારત-પાકિસ્તાન યુદ્ધ. મેં કહ્યું કે, ‘જો તમારે લડવું હોય તો લડો; તમારી પાસે પરમાણુ શસ્ત્રો છે. હું તમારા બંને પર 100, 150, અથવા 200 ટકા ટેરિફ લગાવી દઇશ. મેં 24 કલાકમાં આ મામલો ઉકેલી નાખ્યો.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp