નવી દિલ્હી : નેશનલ સિક્યુરિટીઝ ડીપોઝિટરી લિમિટેડે (એનએસડીએલ) કારોબારી ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારી 3 વિદેશી કંપનીઓના એકાઉન્ટ ઉપર રોક લગાવી દીધી છે. આ વિદેશી ફંડિંગ કંપનીઓએ અદાણી જૂથની કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાના રોકાણ કર્યા છે. એકાઉન્ટ ફ્રીઝ થઈ જતાં અદાણીના શેર્સમાં 10 થી 15 ટકાનો ઘટાડો આવી ગયો છે. એનએસડીએલની વેબસાઈટ મુજબ, આ એકાઉન્ટ્સ 31 મેએ કે તેના પહેલાં ફ્રીઝ કરવામાં આવ્યા છે.
એલ્બ્યુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને એપીએમએસ ફંડના એકાઉન્ટ ઉપર એનએસડીએલે રોક લગાવી દીધી છે. ઇકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, આ કંપનીઓની ઓનરશીપ (માલિકી) વિશે પૂરતી જાણકારી ન આપવાને કારણે એનએસડીએલે આ કાર્યવાહી કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેથી હવે આ કંપનીઓ પોતાના ખાતાના શેર વેચી પણ નહીં શકે અને નવા શેર ખરીદી પણ નહીં શકે. અદાણી જૂથની રોકાણકાર કંપનીઓના ખાતાં ફ્રીઝ થઈ જવાના સમાચાર ફેલાતાં જ અદાણી જૂથના શેર્સ 15 ટકા સુધી તૂટી જઈને 1361.25 રૂપિયા થઈ ગયા છે.
હજી સુધી આ સમાચાર અંગે અદાણી જૂથ તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે એટલું જાણવા મળ્યું છે કે આ ત્રણેય ફંડિંગ કંપનીઓ મોરેશિયસની છે અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ તેમને વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર (એફપીઆઈ)ના રૂપમાં રજીસ્ટર પણ કરી છે. આ ત્રણેય ફંડનું અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકાનું રોકાણ છે.
એનએસડીએલે કહ્યું કે, એન્ટી મની લોન્ડરિંગ કાયદા અંતર્ગત આ ત્રણ એકાઉન્ટથી ફાયદો ઉઠાવનારી કંપનીઓની માલિકી અંગે પૂરતી જાણકારી ન આપવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત લાભ મેળવનાર માલિકી અંગે પૂરી જાણકારી આપવી જરૂરી બને છે.