ભારતના પૂર્વોત્તર રાજ્યોને તોડવાની ધમકીઓ આપતાં બાંગ્લાદેશને સીએમ હિમંત બિસ્વાનો કરારો જવાબ! જાણો
છેલ્લા ઘણાં સમયથી બાંગ્લાદેશમાં અસ્થિરતાનો માહોલ છે, ત્યારે બાંગ્લાદેશના નેતાઓ દ્વારા ભારતના પૂર્વોત્તર રાજ્યોને તોડવાની ધમકીઓ મળી રહી છે. ત્યારે બાંગ્લાદેશની આ ખોખલી ધમકીનો હિમંતા બિસ્વા શર્માએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, "આપણે તેમને પાઠ ભણાવવો જોઈએ."
માહિતી મુજબ, 15 ડિસેમ્બર 2025ના રોજ બાંગ્લાદેશના રાષ્ટ્રીય નાગરિક પક્ષ (NCP) ના નેતા હસનત અબ્દુલ્લાએ ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો નવી દિલ્હી તેમના દેશ (બાંગ્લાદેશ)ને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે, તો ઢાકાએ ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોને અલગ પાડવું જોઈએ અને પ્રદેશમાં અલગતાવાદી તત્વોને સમર્થન કરવું જોઈએ. બાંગ્લાદેશી નેતાએ વધુમાં કહ્યું કે, "હું ભારતને સ્પષ્ટ કરવા માંગુ છું કે, જો તમે બાંગ્લાદેશની સાર્વભૌમત્વ, ક્ષમતાઓ, મતદાન અધિકારો અને માનવ અધિકારોનો આદર ન કરતી શક્તિઓને આશ્રય આપો છો, તો બાંગ્લાદેશ જવાબ આપશે."
જેના જવાબમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આકરી પ્રતિક્રિયા આપી હતી. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, બાંગ્લાદેશીઓનો એક વર્ગ વારંવાર કહી રહ્યો છે કે ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્રને પડોશી દેશ સાથે ભેળવી દેવો જોઈએ, જે એક બેજવાબદાર અને ખતરનાક નિવેદન છે, અને ભારત આના પર ચૂપ રહેશે નહીં. છેલ્લા એક વર્ષથી, તે દેશ તરફથી વારંવાર નિવેદનો આવી રહ્યા છે કે, ઉત્તરપૂર્વીય ભારતના રાજ્યોને અલગ કરીને બાંગ્લાદેશનો ભાગ બનાવવો જોઈએ. ભારત એક ખૂબ મોટો પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે અને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે. ત્યારે બાંગ્લાદેશ આવું કેવી રીતે વિચારી શકે?" સીએમ હિમંતાએ વધુમાં કહ્યું કે, આ માનસિકતાને પ્રોત્સાહન અને બાંગ્લાદેશને વધુ સહાય આપવી જોઈએ નહીં. આપણે તેમને પાઠ ભણાવવો જોઈએ. જો તેઓ આવું વર્તન કરતા રહેશે, તો અમે ચૂપ બેસી રહીશું નહીં."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp