મકાનના સમારકામ માટે મળી શકશે 10 લાખ સુધીની લોન : RBIનો નિર્ણય, મધ્યમવર્ગને રાહત આપે એવા સમાચાર
Loan for Home Renovation : આ દુનિયામાં કોણ એવું હશે, જેણે ‘એક મહેલ હો સપનો કા’નું દિવાસ્વપ્ન નહિ હોયુ હોય? તકલીફ એ છે કે નવું મકાન લેવાનું તો છોડો, મોંઘવારીના આ જમાનામાં મધ્યમવર્ગના લોકોને પોતાનું જૂનું ઘર રીપેર કરાવવું હોય, તો પણ વ્યાજે પૈસા લેવા માટે જ્યાં-ત્યાં ભટકવું પડતું હોય છે. એવામાં લોકો મજબૂરીવશ ખાનગી વ્યક્તિ પાસેથી પઠાણી વ્યાજે પૈસા ઉધાર લઈને વ્યાજના વિષચક્રમાં ફસાતા જોવા મળે છે. પરંતુ હવે RBI ના એક સ્તુત્ય નિર્ણયને પગલે મધ્યમવર્ગના લોકોને મકાન સમારકામ માટે બેંક લોન મળવાના સંજોગો ઉજળા થયા છે.
ભારતીય રિઝર્વ બેંક RBI દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે કે પ્રાથમિક સહકારી બેન્કો મહાનગરમાં રહેતા લોકોને પોતાના મકાનના સમારકામ પેટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપી શકે છે. RBI દ્વારા આ નિર્ણય માત્ર પ્રાથમિક સહકારી બેન્ક્સ પૂરતો જ લેવામાં આવ્યો છે. અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં 2 લાખ સુધીની અને શહેરી વિસ્તારોમાં 5 લાખ સુધીની લોન આપવાની મર્યાદા હતી. હવે આ મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે.
સ્વાભાવિક રીતે જ લોન બેંક દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણો અનુસાર જ આપવામાં આવશે. એમાં કોઈ બાંધછોડ નહિ થાય. પરંતુ લોન લેનારને લોનની રકમ બાબતે ચોક્કસ ફાયદો થશે. જો તમે એવા કેન્દ્રો કે શહેરમાં વસવાટ કરતા હોવ, જ્યાંની વસ્તી દસ લાખ કરતા વધુ છે, તો તમને 10 લાખ સુધીની લોન પ્રાપ્ત થઇ શકશે. અન્ય નાના કેન્દ્રો માટે લોનની મર્યાદા 6 લાખ જેટલી રાખવામાં આવી છે.
RBIના આ નિર્ણયથી ઘરનું સમારકામ કરાવવા માંગતા લોકોને ખાસ્સી રાહત મળશે. જે લોકો લોન મેળવવા માટે પૂરતી યોગ્યતા ધરાવતા હોવા છતાં લોન પેટે અપૂરતી રકમ મળતી હોવાને કારણે પોતાના ઘરનું સમારકામ નહોતા કરાવી શકતા, એવા તમામ લોકોને RBIના આ લોકાભિમુખ નિર્ણયથી ફાયદો થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp