Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસ પર રિટાયર્ડ ATS અધિકારીનો મોટો ખુલાસો- ‘મોહન ભાગવતને અરેસ્ટ કરવા..’
Retired ATS officer Mehboob Mujawar on Malegaon Blast Case: ગુરુવારે, NIA સ્પેશિયલ કોર્ટે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. હવે નિવૃત્ત ATS અધિકારી મહેબૂબ મુજાવરે આ મામલે મોટો ખુલાસો કર્યો છે. મહેબૂબ મુજાવરે જણાવ્યું હતું કે, માલેગાંવ બ્લાસ્ટ બાદ એ સમયે, તત્કાલીન તપાસ અધિકારી પરમવીર સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. દેશમાં ભગવા આતંકવાદની વિભાવના સાબિત કરવા માટે તેમના પર ખોટી તપાસ કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
મુજાવરે કહ્યું કે, મેં તેનો વિરોધ કર્યો કારણ કે, હું કંઈ ખોટું કરવા માગતો નહોતો, પરંતુ મારી સામે ખોટા કેસ નોંધાયા હતા. પરંતુ મને આ બધા કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. મુજાવરે કહ્યું કે તેમણે મારા પર વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને ચાર્જશીટમાં જીવંત જાહેર કરવા દબાણ કર્યું. જ્યારે મેં ના પાડી ત્યારે તત્કાલીન IPS અધિકારી પરમવીર સિંહે મને ખોટા કેસમાં ફસાવી દીધો. મુજાવરે એમ પણ કહ્યું કે તેઓ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં કોર્ટના નિર્ણયથી ખુશ છે.
કોર્ટે 2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે કહ્યું કે આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવા અને સાક્ષીઓ નથી. માત્ર નેરેટિવના આધારે કોઈને દોષિત ઠેરવી નહીં શકાય. ન્યાયાધીશ લાહોટીએ ચુકાદામાં લખ્યું છે કે, ફરિયાદ પક્ષ નક્કર પુરાવા અને વિશ્વસનીય સાક્ષીઓ રજૂ કરી શક્યો નથી. ન્યાયાધીશ એ.કે. લાહોટીએ કહ્યું કે, આતંકવાદનો કોઈ ધર્મ નથી કારણ કે કોઈ ધર્મ હિંસાની હિમાયત કરતો નથી. વિશ્વસનીય પુરાવાના અભાવે તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશ લાહોટીએ કહ્યું કે માત્ર શંકાના આધારે કેસ આગળ વધારી નહીં શકાય. ફરિયાદ પક્ષ શંકાની બહારના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. તે સમાજ સામે ગંભીર ઘટના હતી પરંતુ માત્ર નૈતિકતાના આધારે કોઈને દોષી ઠેરવી શકાય નહીં.
કોર્ટે કહ્યું કે રેકોર્ડ પર એવો કોઈ પુરાવો નથી કે કર્નલ પુરોહિત RDX લાવ્યા હતા અથવા બોમ્બ એસેમ્બલ કર્યો હતો. ગુનામાં વપરાયેલી બાઇક સાધ્વી પ્રજ્ઞાની હતી તેવા પણ કોઈ નક્કર પુરાવા નથી. ઘટના બાદ કોણે પથ્થરમારો કર્યો અને પોલીસકર્મીની બંદૂક કોણે છીનવી લીધી તેના કોઈ સ્પષ્ટ પુરાવા નથી.
આરોપીઓમાં ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટિનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, સુધાકર ચતુર્વેદી, નિવૃત્ત રમેશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવના ભીખુ ચોકમાં એક ટૂ-વ્હીલરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp