લલિત મોદી બરાબરનો ફસાયો! પહેલા ભારતની નાગરિકતા છોડી અને હવે જે દેશની નાગરિકતા લીધી એ દેશની સરકારે આપ્યો મોટો ઝટકો
Lalit Modi: 'ન ઘરનો ન ઘાટનો' આ કહેવત ભાગેડુ ઉદ્યોગપતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ભૂતપૂર્વ ફાઉન્ડર લલિત મોદી માટે એકદમ યોગ્ય બેસે છે. નાગરિકત્વ સંકટનો સામનો કરી રહેલા મોદીએ તાજેતરમાં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી હતી. પરંતુ થોડા દિવસો બાદ, વનુઆતૂ સરકારે પણ તેની સામે એક મોટું પગલું ભર્યું અને તેની નાગરિકતા રદ કરવાનો આદેશ આપી દીધો. હવે લલિત મોદી પાસે ન તો ભારતની નાગરિકતા છે અને ન તો વનુઆતુની. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે કોઈ પણ દેશની નાગરિકતા ન હોય ત્યારે શું થાય છે?
લલિત મોદી પર IPLમાં કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ છે અને તે ભારતીય કાયદાથી બચવા માટે છેલ્લા ઘણા વર્ષોથી લંડનમાં રહે છે. લલિત મોદી માટે વનુઆતુનું નાગરિકત્વ એક સુરક્ષિત ઘર જેવું હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેને ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હોવાની વાત જાહેર થતા જ વનુઆતુ સરકારે પણ તરત જ કડક વલણ અપનાવ્યું. વડાપ્રધાન જોથમ નાપાટે સ્પષ્ટ કરી દીધુ કે તેમનો દેશ કોઈપણ ભાગેડુને આશ્રય નહીં આપે અને લલિત મોદીની નાગરિકતા રદ કરવાનો આદેશ આપી દીધો.
UNHCR મુજબ, જો કોઈ વ્યક્તિ પાસે કોઈપણ દેશની નાગરિકતા ન હોય તો તેને "રાજ્યવિહીન વ્યક્તિ" કહેવામાં આવે છે. આવા વ્યક્તિઓની કાનૂની સ્થિતિ અત્યંત જટિલ બની જાય છે.
સંયુક્ત રાષ્ટ્રના 1954ના Stateless Persons Conventionમાં આવા વ્યક્તિઓને ચોક્કસ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, પરંતુ રાજ્યવિહીન વ્યક્તિને આશ્રય આપવો કે નહીં તે સંપૂર્ણપણે સંબંધિત દેશો પર નિર્ભર છે.
વનુઆતુ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ છે. તે 83 ટાપુઓનો બનેલો એક દ્વીપસમૂહ છે, જેમાંથી ફક્ત 65 ટાપુઓ પર જ વસ્તી છે. તે ઓસ્ટ્રેલિયાની પૂર્વમાં અને ન્યૂઝીલેન્ડની ઉત્તરે અથવા ઓસ્ટ્રેલિયા અને ફીજીની વચ્ચે સ્થિત છે. તેની રાજધાની અને સૌથી મોટું શહેર પોર્ટ વિલા છે, જે એફેટ ટાપુ પર સ્થિત છે. ગ્લોબલ રેસિડેન્સ ઇન્ડેક્સ અનુસાર, વનુઆતુ પાસપોર્ટ પર 133 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ મળે છે. હેનલી ઇન્ડેક્સ અનુસાર, વનુઆતુનો પાસપોર્ટ વિશ્વમાં 51મા ક્રમે છે, જે સાઉદી અરેબિયા (57), ચીન (59) અને ઇન્ડોનેશિયા (64) થી ઉપર છે. ભારત 80મા સ્થાને છે.
બીજી એક રસપ્રદ વાત એ છે કે વનુઆતુમાં કોઈપણ વ્યક્તિની આવક કે મિલકત પર કોઈ કર નથી. દેશમાં ન તો વારસાગત કર છે કે ન તો કોર્પોરેટ કર. કદાચ એટલે ટે જ લલિત મોદીએ વનુઆતુ નાગરિકતા લેવાનું વિચાર્યું હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 2 વર્ષમાં 30 શ્રીમંત ભારતીયોએ અહીં નાગરિકતા મેળવી છે અને ચીનના લોકો અહીં નાગરિકતા મેળવવામાં સૌથી આગળ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp