કોરોનાના લક્ષણો અનુભવાય રહ્યા છે? સૌથી પહેલા કરો આ કામ
નેશનલ ડેસ્ક : કોરોનાનો નવો વેરિયન્ટ ‘ઓમિક્રોન’ દેશ અને વિદેશોમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં રોજના લાખથી વધુ કેસ આવી રહ્યા છે. મોટાભાગના લોકો જેમને COVID-19 થાય છે તેમને હળવાથી મધ્યમ લક્ષણો અનુભવાય છે. જેમાં મોટાભાગના કેસો ગંભીર હોતા નથી. આવી સ્થિતિમાં જો કોરોનાના લક્ષણો અનુભવાય અથવા એવી શંકા હોય તો તરત જ કેટલાક પગલાં લેવા જોઈએ જેથી કોરોનાનો સમયસર સામનો કરી શકાય.
સૌ પ્રથમ, જો તમને સહેજ પણ શંકા હોય કે તમે કોરોનાની પકડમાં આવી ગયા છો, તો તમારે શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરને મળવું જોઈએ. જેથી ડોક્ટર યોગ્ય તપાસ કરીને સાચી સલાહ આપે. કોરોનાની સાચી ઓળખ માટે તેનો ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. સૌથી અગત્યની વાત એ છે કે, ડોક્ટરની સલાહ વગર કોઈ પણ જાતની દવા લેવાનું ટાળવું જોઈએ.
તદુપરાંત, લક્ષણો અનુભવાતા તરત જ આઈસોલેટ થઇ જવું, કારણ કે કોરોના એ ચેપી વાયરસ છે. જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ તેના મોં પર રૂમાલ રાખ્યા વિના છીંકે તો વાયરસ ફેલાવાની સંભાવના વધારે રહે છે. આવી સ્થિતિમાં આખો પરિવાર કોરોનાના સકંજામાં આવી શકે છે.
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, જો કોરોનાથી સંક્રમિત થઇ ગયા હોવ તો આસપાસના અને સંપર્કમાં આવેલા લોકોથી એ વાત છુપાવવી જોઈએ નહીં. આમ કરવું તમારા સંપર્કમાં આવેલા લોકો અને તમારા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ સ્થિતિમાં તેમને પણ કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે કહેવું એ જ શ્રેષ્ઠ રહે છે, જેથી તેઓ પણ સમયસર સારવાર લઈને ચેપથી બચી શકે.
મોટાભાગના કિસ્સાઓમાં કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિને તાવ, ઉધરસ, થાક અને ગળામાં દુ:ખાવો થાય છે. આ લક્ષણો ઘણા કિસ્સાઓમાં વધી જાય છે. આ લક્ષણોને સમયસર સંભાળ રાખીને નિયંત્રિત કરી શકાય છે.
જ્યારે તમે ચેપના લક્ષણો અનુભવો ત્યારે તમારે તમારી જાતને હાઇડ્રેટેડ રાખવું જોઈએ. આ કારણે તમારા શરીરમાં સંતુલન જળવાઈ રહે છે અને તમારું શરીર ઈન્ફેક્શન સામે લડવા માટે તૈયાર થઈ જશે. સમયાંતરે 8 થી 10 ગ્લાસ હુંફાળું/નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી પીતા રહો, જેનાથી તમારું શરીર હાઇડ્રેટ રહેશે. જો શક્ય હોય તો તમે તમારા આહારમાં લીંબુ પાણી અથવા ફળોના રસનો પણ સમાવેશ કરી શકો છો.
જો તમને વધુ થાક લાગતો હોય કે તમે નબળાઈ અનુભવતા હો, તો આવી સ્થિતિમાં તમારે બિલકુલ કામ ન કરવું જોઈએ. કોરોનાના ચેપને કારણે તમારા શરીરમાં નબળાઈ આવશે, જેના કારણે તમારે મહત્તમ આરામ કરવું જોઈએ. તેમજ વધુને વધુ લીલા શાકભાજી અને ખાટ્ટા ફળોનું સેવન કરવું જોઈએ. મહત્તમ આરામ અને સંતુલિત આહાર શરીરને ચેપ સામે લડવામાં મદદ કરશે. આ ઉપરાંત દિવસમાં 3 થી 5 વખત સ્ટીમ લેવી જોઈએ.
ટૂંકમાં પોતાને અને પોતાના પરિવારને ગંભીર પરિસ્થિતિમાંથી બચાવવા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp