નવી દિલ્હી : ભારતમાં તાજેતરમાં જ સરકારે હાઈસ્પીડ 5G નેટવર્કના પરીક્ષણો કરવાની મંજૂરી આપી દીધી છે. પરીક્ષણના નિર્ણયની સાથે જ ભારતે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ભારતે 5G ટ્રાયલથી ચાઇનીઝ કંપનીઓને દૂર રાખવાનું નક્કી કર્યું છે. તેથી હવે ચાઇનીઝ કંપનીઓ હુવાવી અને ZTE જેવી કંપનીઓના સાથ વગર જ 5G નેટવર્કનું પરીક્ષણ થશે. આ નિર્ણયને અમેરિકાએ આવકાર આપ્યો છે અને તેને ઉત્તમ નિર્ણય ગણાવ્યો છે. ચીને સ્વાભાવિક રીતે ભારતના આ નિર્ણય અંગે અફસોસ વ્યક્ત કર્યો છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, અમેરિકા ચીન (પીઆરસી – પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના) દ્વારા નિયંત્રિત કે બાધિત કરવામાં આવેલા યંત્રો સાથે નેટવર્ક સ્થાપવાના જોખમને લઈને ચિંતાતુર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે, ભારત સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય સ્વતંત્ર નિર્ણય છે. તેમણે કહ્યું કે, હુવાવી કે ઝેડટીઈ જેવા બિનવિશ્વાસપાત્ર ટેલિકોમ સર્વિસ સપ્લાયર્સને ટ્રાયલની મંજૂરી આપવાથી રાષ્ટ્રીય સુરક્ષા, પ્રાઈવસી અને માનવઅધિકારો સાથે જોડાયેલા જોખમો ઉભા થઇ શકે છે.
ભારતીય ટેલિકોમ વિભાગે રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ, વોડાફોન (વી) અને એમટીએનએલ જેવી કંપનીઓના આવેદનોને મંજૂરી આપી છે. આ તમામ કંપનીઓ ચીની કંપનીઓની ટેક્નોલોજીનો ઉપયોગ નથી કરતી. આ ઉપરાંત ટેલિકોમ વિભાગે 5G ટ્રાયલ માટે સ્વીકૃત ટેલિકોમ ગીયર પ્રોડ્યુસર્સની સૂચીમાં એરિક્સન, નોકિયા, સેમસંગ, સી-ડોટ અને રિલાયન્સ જીઓ જેવી સ્વદેશી રૂપે વિકસેલી ટેક્નોલોજીનો જ સમાવેશ કર્યો છે.
ભારતે 5G નેટવર્કના ટ્રાયલ માટે આત્મનિર્ભર વલણ અપનાવ્યું છે. તેથી ચીનની એક પણ ટેલિકોમ કંપનીને ભારતના 5G પરીક્ષણમાં સ્થાન મળશે નહીં. સરકારનો આ નિર્ણય એવો પણ સંકેત કરે છે કે, દેશમાં શરૂ થનારી 5G ટેલિકોમ સેવાઓમાં પણ ચાઇનીઝ કંપનીઓને ભાગ લેતી અટકાવી શકે છે.