એજ્યુકેશન ડેસ્ક: કોરોનાના કારણે પાછળ ઠેલવામાં આવેલી નીટ પરીક્ષાઓની (NEET Exams) નવી તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર NEET UG તારીખ ૧૨ સપ્ટેમ્બરના (12 September) રોજ યોજાશે. કોરોના પ્રોટોકોલના પાલન સાથે પરીક્ષા યોજાશે તેમ જણાવવામાં આવ્યું છે.
NEET પરીક્ષા માટે ફોર્મ આવતીકાલ સાંજે પાંચ વાગ્યાથી ભરી શકાશે. આ ફોર્મ NTA ની અધિકારીક વેબસાઈટ (NTA Website) પરથી ભરી શકાશે. શિક્ષણમંત્રી ધેર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) પણ આ અંગે ટ્વીટ કરીને પુષ્ટિ કરી છે.
આ પહેલા પરીક્ષા પહેલી ઓગસ્ટના રોજ આયોજિત થઇ હતી. પરંતુ કોરોનાના વધતા કેસ અને દેશભરમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા સરકારે પરીક્ષા પાછળ ઠેલી દીધી હતી. પરંતુ હવે કોરોનાના કેસ પણ ઓછા થઇ રહ્યા છે તેમજ રસીકરણનું (Corona Vaccination) પ્રમાણ પણ વધી રહ્યું છે તેને જોતા NEET ની નવી તારીખો જાહેર કરવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રોમાં વધારો કરાશે
આ સાથે શિક્ષણ મંત્રાલયે (Ministry of Education) એમ પણ જણાવ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને કોરોનાના નિયમોનું યોગ્ય પાલન થાય તે માટે શહેરોની સંખ્યા પણ વધારવામાં આવી છે. જેથી હવે ૧૫૫ ને બદલે ૧૯૮ શહેરોમાં પરીક્ષા લેવાશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પણ વધારવામાં આવ્યા છે. ગત વર્ષે ૩૬૮૨ કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી, આ વર્ષે એથી વધુ કેન્દ્રો પર લેવાશે.
કોરોનાના નિયમો સાથે પરીક્ષા લેવાશે
કોરોનાકાળમાં આ પરીક્ષા લેવાનાર હોવાના કારણે તમામ પરીક્ષાર્થીઓને કેન્દ્રો પરથી માસ્ક પૂરા પાડવામાં આવશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે પ્રમાણેની બેઠક વ્યવસ્થા, કોન્ટેક્ટલેસ રજીસ્ટ્રેશન, યોગ્ય સેનેટાઈઝેશન વગેરે પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
પરીક્ષાખંડના તમામ ફર્નિચર, બેંચ અને અન્ય જગ્યાઓ ઉપર પરીક્ષા શરૂ થયા પહેલા અને પૂર્ણ થયા બાદ સેનેટાઈઝેશન કરવામાં આવશે તેમજ પરીક્ષાખંડોમાં હવાઉજાસ માટે પંખા અને ખુલ્લી બારીઓ હોય તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે.
(તસવીર પ્રતીકાત્મક છે)