જરૂરી નાણાકીય લેવડદેવડ પતાવી લો, આજે રાતે 12 વાગ્યાથી 14 કલાક માટે NEFT સેવા બંધ રહેશે
નવી દિલ્હી : ડિજિટલ બેન્કિંગની નાણાકીય હેરફેર સેવા નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) આજે રાતે 12 વાગ્યાથી 14 કલાક માટે બંધ રહેશે. આ સુવિધાનો ઉપયોગ કરીને 2 લાખ રૂપિયા સુધીના નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ આજે સૂચના જારી કરીને કહ્યું છે કે, ટેક્નિકલ અપગ્રેડેશનની કામગીરીને કારણે ગ્રાહકો એનઈએફટી સેવાનો 14 કલાક સુધી લાભ નહીં લઈ શકે. અપગ્રેડેશનની કામગીરી આજે રાતે 12 વાગ્યાથી શરૂ કરીને આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધી ચાલશે.
રીઝર્વ બેન્કના જણાવ્યા મુજબ, આજે રાતે 12 વાગ્યે તમામ કારોબાર બંધ થયા પછી એનઈએફટી સેવા બંધ કરી દેવામાં આવશે. આ સેવાને વધુ અસરકારક, ઝડપી બનાવવા અને તેનું પરફોર્મન્સ વધુ સારું બનાવવા માટે તેમાં ટેક્નિકલ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સેવાનો લાભ સામાન્ય લોકો અવારનવાર કરતા હોવાથી તેમણે જો કોઈ ટ્રાન્ઝેક્શન કરવાનું બાકી હોય તો આજે રાતે 12 વાગ્યા પહેલાં કરી લેવા આરબીઆઈએ તાકીદ કરી છે.
રીઝર્વ બેન્કે 6 જૂન 2019ના દિવસથી સામાન્ય જનતા માટે રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને એનઈએફટીની કામગીરી મફત કરી દીધી છે. દેશમાં ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે રીઝર્વ બેન્કે આ પગલું લીધું હતું. બધી જ બેન્કોમાં આ બંને સુવિધા 24 કલાક માટે ઉપલબ્ધ હોય છે. અગાઉ કેટલાક નિયંત્રણો હતા.
કોઈ પણ બેન્કની મોબાઈલ એપ દ્વારા કે ઈન્ટરનેટ દ્વારા એનઈએફટી સેવામાં 2 લાખ રૂપિયા સુધીની લેવડદેવડ થઈ શકે છે. બે લાખથી વધુ રૂપિયાની હેરફેર માટે આરટીજીએસ સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. આ સેવાઓ દ્વારા કોઈ પણ બેન્કની કોઈ પણ શાખાને નાણાં મોકલી શકાય છે. સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન કર્યાની થોડી જ સેકન્ડોમાં ફંડ ટ્રાન્સફર થઈ જાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp