ઉધનાથી બનારસ માટે નવી ટ્રેનને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે લીલી ઝંડી આપી રવાના કરી, જાણો આ નવી ટ્રેન વિશે
સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉત્તર ભારતીયોને વતન જવાની સુવિધા મળી રહે તે માટે ઉધના અને બનારસ વચ્ચે સુપરફાસ્ટ અઠવાડિક ટ્રેનને આજે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે લીલી ઝંડી આપી રવાના કરી હતી.આ નવી ટ્રેન શરૃ થતા ઉત્તર ભારતીયોને આનો સારો લાભ મળશે. જોકે, અપેક્ષા એવી હતી કે સુરતથી બનારસ માટે દૈનિક ટ્રેન શરૃ થાય. આ રૃટ પર બીજી કોઈ ટ્રેન નથી. રોજ દોડાવવામાં આવે તો તેનો લાભ વધુ લોકો ઉઠાવી શકે તેમ છે. સુરતથી ઉત્તર ભારત જનારાઓનો વર્ગ ખૂબ મોટો છે. મોટાભાગની ગાડીઓ ફુલ થઈ જાય છે.
ઉધના-બનારસ-ઉધના (20961-62) ઉધનાથી દર મંગળવારે અને બનારસથી દર બુધવારે ઉપડશે. આ સુપરફાસ્ટ ટ્રેન વડોદરા, રતલામ, નાગદા, ઉજ્જૈન (જં), મસ્કી (જં) સાઝાપુર, બિયાર્વા રાજગઢ, રુથીયાઇ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, માલનપુર, સોની, ભીડ, ઇટાવા, ગોવિંદપુરી, ફતેપુર, પ્રયાગરાજ અને જ્ઞાાનપૂર રોડ સ્ટેશને રોકાશે.
આ ટ્રેનના અનાવરણ પ્રસંગે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે કહ્યું હતું કે, સુરતમાં વસતા લાખો ઉત્તરભારતીયોને આ ટ્રેનથી ફાયદો થશે. જો કે ટ્રેન દૈનિક શરૂ કરવા માટે થોડા દિવસોની રાહ જોવી પડશે એમ પણ તેમણે કહ્યું હતું.
આ ટ્રેનમાં ઉધનાથી બનારસ સુધીના પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. ઉપરાંત ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા જનારા તેમજ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ અને બનારસમાં બાબા વિશ્વનાથના દર્શન માટે પણ ટ્રેન મહત્ત્વની સાબિત થશે. ટ્રેન શરૂ થયા બાદ સુરતથી બનારસ જઇ રહેલા પ્રવાસીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ટ્રેન માટે સરકાર તેમજ રેલવે રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp