નવી દિલ્હી: દેશના મહાન દોડવીર મિલ્ખાસિંહ એક મહિના સુધી કોરોના સામે લડ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે તેમનું નિધન થયું હતું. આ જ અઠવાડિયે તેમના પત્ની નિર્મલ મિલ્ખા સિંહનું પણ કોરોનાથી નિધન થયું હતું. ત્યારબાદ ગઈકાલે મિલ્ખાસિંહે ૯૧ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
કોરોનાની સારવાર લીધા બાદ મિલ્ખાસિંહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. પરંતુ ત્યારબાદ તેમની તબિયત ફરી બગડી ગઈ હતી. તબિયત બગડતા તેમને ચંદીગઢની PGI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે પાંચ વાગ્યે કરવામાં આવશે.
ચંદીગઢની PGIMER હોસ્પિટલે નિવેદન જારી કરીને કહ્યું છે કે, ‘મિલ્ખાસિંહ ૩ જૂને PGIMER હોસ્પિટલમાં દાખલ થયા હતા. ૧૩ જૂન સુધી અહીં સારવાર ચાલ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના નેગેટિવ આવ્યા બાદ પોસ્ટ કોવિડ તકલીફો શરૂ થવાના કારણે તેમને ફરી ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમ દ્વારા ખૂબ પ્રયત્નો કર્યા છતાં તેઓ સાજા ન થઇ શક્યા અને શુક્રવારે રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યે તેઓ સ્વર્ગસ્થ થયા.
એશિયન ગેમ્સમાં ચાર વખત ગોલ્ડ મેડલ જીતનાર મિલ્ખાસિંહે ૧૯૫૮ ના કોમનવેલ્થ ગેમ્સમાં યલો મેડલ મેળવ્યું હતું. વર્ષ ૧૯૬૦ ના રોમ ઓલમ્પિકમાં તેમણે કારકીર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેમાં ૪૦૦ મીટર દોડની ફાઈનલમાં તેઓ ચોથા સ્થાને રહ્યા હતા. તેમણે વર્ષ ૧૯૫૬ અને ૧૯૬૪ માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. વર્ષ ૧૯૫૯ માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
મિલ્ખાસિંહના જીવન પર ‘ભાગ મિલ્ખા ભાગ’ નામની એક બોલિવુડ ફિલ્મ પણ બની છે. જેમાં ફરહાન અખ્તરે મિલ્ખાસિંહનું પાત્ર ભજવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિલ્ખાસિંહના નિધન પર ટ્વીટ કરતા કહ્યું કે, મિલ્ખાસિંહના નિધનથી ભારતે એક મહાન ખેલાડી ગુમાવી દીધો, જેનું અસંખ્ય ભારતીયોના હ્રદયમાં વિશેષ સ્થાન હતું. પોતાના પ્રેરક વ્યક્તિત્વથી તેઓ લાખોના પ્રિય હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમણે કહ્યું કે, મેં થોડા દિવસો પહેલા જ તેમની સાથે વાત કરી હતી. મને ખબર ન હતી કે આ અમારી આખરી વાતચીત હશે. તેમના પરિવાર અને દુનિયાભરના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ.