દેશના મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ રાજ્યો સહિત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઇવે બંધ થઇ ગયો. નંદપ્રયાગના પાર્થડીપ અને બાજપુરમાં લગભગ 10 કલાક સુધી વાહનોની અવરજવર બંધ રહી. હાઇવેની બંને બાજુ લગભગ 1,200 શ્રદ્ધાળુઓ અને અન્ય લોકો ફસાયા હતા. મોડી સાંજે નોઇડા, ગાઝિયાબાદ અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા અને ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થઇ ગયો હતો. ઝારખંડમાં મંગળવારથી અત્યાર સુધી વીજળી પડવાથી 10 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગે ગુરુવારે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
હવામાન વિભાગે 1 ઑગસ્ટે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને 16 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં 20 સેમીથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગોવા, તામિલનાડુ, પુડુચેરી, કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. તો પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, આસામ, મેઘાલય, ગુજરાતમાં સામાન્ય (લગભગ 7 સેમી) વરસાદ થઇ શકે છે. આગામી 5 દિવસ સુધી પશ્ચિમ કિનારે ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગે વરસાદને લઇને ફરી એક વખત મોટી આગહી કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદ ખાબકી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 2 ઑગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 2-4 ઑગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. 2 ઑગસ્ટે નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 3 અને 4 ઑગસ્ટે નર્મદા, ભરૂચ, સુરત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.