અમદાવાદની ટ્રાફિક ભરૂચની યુવતી માટે બની વરદાન રૂપ, 10 મિનિટ વિલંબને કારણે એરપોર્ટ પર એર ઇન્ડિયાએ ચેક-ઇન કરવા દીધી નહોતી
ક્યારેક-ક્યારેક મોડું થવું સારું હોય છે. સમયસર દરેક જગ્યાએ પહોંચવાની આદત પ્રશંસનીય હોઈ શકે છે, પરંતુ ક્યારેક મોડું પહોંચવાથી જીવ બચી જાય છે. કંઈક આવું જ બન્યું. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ બોર્ડ ન કરી શકનારી ભરૂચની ભૂમિ ચૌહાણ સાથે. ભૂમિ ચૌહાણ પોતાની ફ્લાઇટ પકડવામાં 10 મિનિટ લેટ થઈ ગઈ અને એર ઇન્ડિયાએ તેને ચેક ઇન કરવા ન દીધી. આ માટે, તેણે CISF જવાનો સાથે ઝઘડો કર્યો, ખૂબ દલીલો પણ કરી, પરંતુ એરપોર્ટ સિક્યોરિટી ન માની તો ન જ માની. ભૂમિને આ વાતથી ખૂબ દુઃખ થયું હશે. તેણે વિચાર્યું હશે કે લંડનની આટલી મોંઘી ટિકિટ બરબાદ થઈ ગઈ, લંડનની સફર ન કરી શકી અથવા કોઈ કામ અટકી ગયું. જોકે, જ્યારે તેણે આ જ વિમાનના ક્રેશના સમાચાર સાંભળ્યા ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ.
ભૂમિ ચૌહાણે ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે, ‘હું ગઈકાલે લંડન પાછી જવાની હતી. મારી ફ્લાઇટનો સમય બપોરે 1:10 વાગ્યાનો હતો, પરંતુ મને એરપોર્ટ પહોંચતા 12:20 થઈ ગયા હતા. 10 મિનિટ અગાઉ, એટલે કે 12:10 વાગ્યે એર ઇન્ડિયાએ ચેક-ઇન બંધ કરી દીધું હતું.’ ભરૂચની ભૂમિએ કહ્યું કે, ‘ચેક-ઇન ગેટ પર પહોંચ્યા બાદ, મેં ઘણી વાર વિનંતી કરી કે મને અંદર જવા દો, માત્ર 10 મિનિટ જ તો મોડી છુ. જે પણ ઇમિગ્રેશન અને અન્ય ઔપચારિકતાઓ હશે, હું ફટાફટ બધુ ક્લિયર કરી દઈશ, પરંતુ સુરક્ષા કર્મચારીઓ અને એર ઇન્ડિયાના સ્ટાફ ન માન્યા. તેમણે મને પાછી મોકલી દીધી.
એર ઇન્ડિયાના સ્ટાફે ભૂમિને કહ્યું કે તમારા 10 મિનિટના વિલંબને કારણે, ફ્લાઇટ વધુ 15 મિનિટ મોડી પડી શકે છે, એટલે તેને ઘરે પાછા આવવું પડ્યું. અમદાવાદ ટ્રાફિકને વિલંબનું કારણ બતાવતા ભૂમિ ચૌહાણે કહ્યું કે, તે સિટી વિસ્તારમાં જામમાં ફસાઈ ગઈ હતી. જ્યારે વિમાન ક્રેશ થયું, તો તે એરપોર્ટથી ઘરે જવા નીકળી ગઈ હતી. તેને કારમાં સમાચાર મળ્યા કે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે. તે સમયે ભૂમિ ચૌહાણ સ્તબ્ધ થઈ ગઈ અને ભગવાનનો આભાર માનવા લાગી. જોકે, તે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો માટે પણ દુઃખી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp