10 રૂપિયાનો સિક્કો માન્ય કે અમાન્ય? સરકારે સંસદમાં આપ્યો જવાબ
જ્યારે આપણે કોઈપણ વસ્તુની ખરીદી માટે 10 રૂપિયાનો સિક્કો આપીએ છીએ ત્યારે કેટલાક દુકાનદારો તેને લેવાની ના પાડી દે છે. ક્યારેક રિક્ષાનું ભાડું ચૂકવતી વખતે પણ આવું થાય છે. તેઓ સિક્કો નહીં ચાલે કે સિક્કો નકલી છે તેવું બહાનું ધરી દે છે. તેનું કારણ એ છે કે બજારમાં 10 રૂપિયાના ઘણા પ્રકારના સિક્કા છે. જેણે લઈને લોકોમાં આ મુદ્દો ચર્ચાયો હતો કે શું ૧૦ રૂપિયાનો સિક્કો માન્ય છે કે અમાન્ય? સંસદમાં આ મુદ્દાને લઈને સ્પષ્ટતા થઇ હતી.
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ 8 ફેબ્રુઆરી, 2022 ના રોજ રાજ્યસભામાં દસ રૂપિયાનો સિક્કો માન્ય છે કે અમાન્ય તે મુદ્દાના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, તમામ પ્રકારના દસ રૂપિયાના સિક્કા લીગલ ટેન્ડર છે. ભારત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ વિવિધ કદ, થીમ અને ડિઝાઇનમાં બનાવવામાં આવેલ, આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા પ્રસારિત કરાયેલા રૂ. 10ના સિક્કા કાનૂની રીતે લીગલ ટેન્ડર છે. તેનો ઉપયોગ તમામ પ્રકારના વ્યવહારોમાં થઈ શકે છે.
પંકજ ચૌધરીએ એમ પણ કહ્યું કે લોકોની 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારવાની ફરિયાદો પણ આવી છે. લોકોમાં જાગૃતિ લાવવા તેમજ ગેરમાન્યતાઓ અને ડર દૂર કરવા માટે, આરબીઆઈ સમયાંતરે પ્રેસ રીલીઝ બહાર પાડી જનતાને વિનંતી કરે છે કે તે કોઈપણ સંકોચ વિના તેના તમામ વ્યવહારોમાં લીગલ ટેન્ડર તરીકે દસ રૂપિયાના સિક્કાને સ્વીકારે. આ ઉપરાંત આરબીઆઈ એ સમગ્ર દેશમાં આ અંગે SMS અને પ્રિન્ટ મીડિયા કેમ્પેઈન દ્વારા પણ જનજાગૃતિ અભિયાન ચલાવે છે. અગાઉ આ મુદ્દે આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે, 10 રૂપિયાના તમામ 14 ડિઝાઈનના સિક્કા બજારમાં માન્ય છે.
ભારત સરકાર આવા સિક્કા ધરાવનારાઓને કરન્સીનું મૂલ્ય ચુકવવાનું વચન આપે છે. આરબીઆઈ જણાવે છે કે, કોઇપણ વ્યકિત આ માન્યતા ધરાવતા દસના સિક્કાઓ સ્વીકારવાનો ઇન્કાર કરે તો તે વ્યક્તિ પર રાજદ્રોહનો કેસ થઇ શકે છે. રિઝર્વ બેંકે આ સિક્કાઓ ન સ્વીકારનાર વ્યક્તિની સામે કાનૂની કાર્યવાહી થઇ શકે તેવું પણ જણાવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp