કોણ છે સી.પી. રાધાકૃષ્ણન, જેમને બનાવાયા NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર?
NDAએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. આ જાહેરાત કરતા ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે, ‘સી.પી. રાધાકૃષ્ણન’ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. હાલમાં સી.પી. રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. જેપી નડ્ડાએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કરવા માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી.
20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં જન્મેલા ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (સી.પી. રાધાકૃષ્ણન) ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા રહ્યા છે અને વર્તમાનમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. રાધાકૃષ્ણને તેમની રાજકીય કારકિર્દી RSS અને જન સંઘથી શરૂ કરી હતી. 1998 અને 1999માં તેઓ કોઈમ્બતુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ વર્ષ 2003 થી 2006 સુધી તમિલનાડુના ભાજપના અધ્યક્ષ હતા.
સી.પી. રાધાકૃષ્ણન ફેબ્રુઆરી 2023થી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. આ ઉપરાંત તેમણે માર્ચથી જુલાઈ 2024 સુધી તેલંગાણાનો વધારાનો હવાલો અને માર્ચથી ઓગસ્ટ 2024 સુધી પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. તેઓ 31 જુલાઈ 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
2004-2007 દરમિયાન ભાજપ તમિલનાડુ પ્રમુખ રહેતા તેમણે 93 દિવસની રથયાત્રા કાઢી હતી, જેનો હેતુ નદીઓને પરસ્પર જોડવાનો, આતંકવાદ સામે જાગૃતિ લાવવાનો અને અસ્પૃશ્યતા નાબૂદીનો હતો. તેઓ સંસદમાં કાપડ ઉદ્યોગ પર સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ હતા. તેમણે નાણાકીય અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો સંબંધિત ઘણી સમિતિઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે કોઈમ્બતુરની VO ચિદમ્બરમ કોલેજમાંથી BBAની ડિગ્રી મેળવી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp