‘ગિલ-સિરાજ OUT, યશસ્વી જયસ્વાલ બેકઅપ ઓપનર..’, એશિયા કપ માટે સિલેક્ટર્સ લઈ શકે છે મોટા નિર્ણય
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત પર ચાહકોની નજર ટકેલી છે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત 19 ઓગસ્ટ (મંગળવાર)ના રોજ થવાની છે. ભારતીય સિલેક્ટર્સ મુંબઈમાં મળશે, ત્યારબાદ ટીમની જાહેરાત કરવામાં આવશે. T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ પસંદગી સમિતિની બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે.
એશિયા કપ માટે ભારતીય ટીમની પસંદગી સરળ નહીં રહે. આ વખતે પસંદગીકારો કેટલાક કઠિન નિર્ણયો લઈ શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, એશિયા કપ માટે ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલની ટીમમાં પસંદગી કરવી ખૂબ મુશ્કેલ છે. પસંદગીકારો સંજુ સેમસન અને અભિષેક શર્માને ફર્સ્ટ ચોઈસ ઓપનર તરીકે પસંદ કરી શકે છે.
તો, યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમ સાથે બેકઅપ ઓપનર તરીકે UAE જઈ શકે છે. શુભમન ગિલનું નામ પણ બેકઅપ ઓપનર માટે રેસમાં છે, પરંતુ યશસ્વીનું પલ્લું હાલમાં ભારે દેખાઈ રહ્યું છે. એ પણ શક્ય છે કે તેમાંથી કોઈની પસંદગી ન થાય, પરંતુ શુભમન હાલમાં આ રેસમાં પાછળ છે. જો મુખ્ય કોચ ગૌતમ ગંભીર શુભમનને ટીમમાં સમાવવાનો આગ્રહ રાખે તો બધું બરાબર થઈ શકે છે.
શુભમન ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 754 રન બનાવ્યા હતા, જે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય બેટ્સમેન માટે બીજો સૌથી મોટો આંકડો છે. શુભમને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ગુજરાત ટાઇટન્સ (GT) માટે 650 રન પણ બનાવ્યા હતા, તેમ છતાં તેનું સ્થાન નિશ્ચિત માનવામાં આવતું નથી. આમ પણ, એશિયા કપ એક T20 ટુર્નામેન્ટ છે અને પસંદગીકારો અભિષેક શર્મા અને સંજુ સેમસન સાથે જવા માગે છે, જેમણે તાજેતરના સમયમાં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે.
એશિયા કપ માટે ભારતીય ટીમમાં બેટ્સમેન તરીકે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માનું નામ નક્કી છે. જ્યારે એક સ્લોટ માટે શિવમ દુબે અને રિંકુ સિંહ વચ્ચે સ્પર્ધા છે. શિવમ દુબેનો દાવો મજબૂત લાગે છે કારણ કે તે થોડી ઓવર પણ બોલિંગ કરી શકે છે. શ્રેયસ ઐયરની પસંદગી થવાની શક્યતા ઓછી છે. જ્યારે જીતેશ શર્માને વિકેટકીપર સંજુ સેમસનના બેકઅપ તરીકે સ્થાન મળી શકે છે, જેણે IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ઈંગ્લેન્ડ સામેની તાજેતરની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનારા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની પસંદગી પણ મુશ્કેલ છે. જસપ્રીત બુમરાહ એશિયા કપમાં ફાસ્ટ બોલિંગ યુનિટનું નેતૃત્વ કરી શકે છે. અર્શદીપ સિંહ તેની સાથે રહેશે, આ સાથે પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણામાંથી કોઈ એકને તક મળી શકે છે.
હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર તરીકે સામેલ કરવામાં આવશે. જ્યારે અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પસંદગીની શક્યતા ખૂબ ઓછી છે. કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને ઉપ-કેપ્ટન અક્ષર પટેલના નામ સ્પિનર તરીકે ફિક્સ માનવામાં આવી રહ્યા છે. વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp