અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીની (Corona Pandemic) શરૂઆતથી આજ સુધી અમદાવાદ (Amdavad) શહેર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રહ્યું છે. કોરોનાની ઘાતક બીજી લહેરમાં પણ અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં કોરોનાના નવા દૈનિક કેસનું પ્રમાણ વધુ રહ્યું હતું. ત્યારે બીજી લહેર બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં (Sero Survey) ખુલાસો કરવામાં આવ્યો છે કે શહેરની લગભગ 80 ટકા વસ્તીમાં કોરોના વિરુદ્ધ એન્ટીબોડી (Antibody) બની ગયા છે.
અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારના લગભગ 5000 લોકો પર આ સિરોલોજિકલ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે શહેરના 81.63 % લોકોના શરીરમાં કોરોના વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી બની ગયા છે. સર્વેમાં એ પણ જણાવવામાં આવ્યું કે જે લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઇ લીધા હતા તેમનામાં જેમણે રસી નથી લીધી તેવા લોકો કરતા એન્ટીબોડી વધુ પ્રમાણમાં નિર્મિત થયા હતા.
AMC દ્વારા 28 મેથી 3 જૂન દરમિયાન સર્વે કરાયો
અમદાવાદ મહાનગરપાલિકાએ (Amdavad Municipal Corporation) આ સર્વે 28 મેથી 3 જૂન દરમિયાન કર્યો હતો, જ્યારે કોરોનાની બીજી લહેરની અસર ઓછી થઇ ગઈ હતી. આ સર્વેમાં કુલ ૫૦૦૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 32 જેટલા સેમ્પલ કોઈક કારણોસર રદ કરી દેવામાં આવ્યા. બાકીના 4,969 સેમ્પલના પરિણામો મળ્યા, જેમાં 2,345 પુરુષો અને 2,615 મહિલાઓનો સમાવેશ થાય છે.
રસીના બંને ડોઝ લીધા હોય તેમનામાં એન્ટીબોડી વધુ
AMC ના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ કહ્યું કે, ‘અમે એન્ટીબોડી વિશે જાણવા માટે અમે નિયત સમયાંતરે સિરો સર્વેલન્સ અભ્યાસ (Sero Surveillance Study) કરીએ છીએ. અમદાવાદની કુલ સામાન્ય વસ્તીમાંથી 80 ટકા સિરોપોઝિટિવીટી હોવાનું જાણવા મળ્યું છે. જેમણે રસીના બંને ડોઝ લીધા તેમનામાં જેમણે એકેય ડોઝ ન લીધો તેવા લોકો કરતા સિરોપોઝિટિવીટીનું પ્રમાણ વધુ હતું.’
કુલ 5000 લોકોમાંથી 2,887 લોકો ભૂતકાળમાં કોરોનાથી સંક્રમિત થયા ન હતા અને તેમણે રસી પણ લીધી ન હતી. જ્યારે 2,216 લોકોમાં એન્ટીબોડી હાજર હતી અને તેનું પ્રમાણ 76.76 ટકા જેટલું હતું. તેનાથી વિપરીત, 158 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા હતા અને તેમણે કોરોનાની વેક્સિનના ડોઝ પણ લીધા હતા. જેમાંથી 154 લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા હતા. રિપોર્ટ વધુમાં જણાવે છે કે, 173 લોકો જેમને કોરોના થયો હતો અને રસીનો એક ડોઝ લીધો હોય, તેમાંથી 164 લોકોમાં એન્ટીબોડી મળ્યા હતા.
રિપોર્ટમાં તારણ આપવામાં આવ્યું છે કે, જે લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવી ચુક્યા હોય અને જેઓ ભૂતકાળમાં કોરોનાથી સંક્રમિત થઇ ગયા હોય તેવા લોકોમાં, જેઓ ક્યારેય સંક્રમિત થયા ન હતા કે જેમણે કોરોના રસીનો એક જ ડોઝ લીધો હતો તેવા લોકો કરતા એન્ટીબોડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
રિપોર્ટ જણાવે છે કે, સેમ્પલમાં સમાવેશિત રસી લઇ ચુકેલા લોકો પૈકી મોટાભાગનાએ ‘કોવિશીલ્ડ’ રસી લીધી હતી. જ્યારે થોડા લોકોએ ‘કોવેક્સિન’ પણ લીધી હતી. કૉવેક્સિન રસી મેળવેલા લોકોમાં કોવિશીલ્ડ લીધેલી હોય તેવા લોકો કરતા સિરોપોઝિટિવીટીનું પ્રમાણ થોડું વધુ જોવા મળ્યું.
જોકે, રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઉપલબ્ધ ડેટાને આધારે આખા શહેરની હર્ડ ઈમ્યુનિટી અંગે ટિપ્પણી કરી શકાય નહીં. વધુમાં જણાવવામાં આવ્યું છે કે મહામારી ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે રસીકરણ ખુબ જરૂરી છે.