અંકિતા ભંડારી મર્ડર કેસમાં 3 વર્ષ બાદ મળ્યો ન્યાય, રિઝોર્ટ માલિક સહિત ત્રણેય આરોપી દોષિત
વર્ષ 2022માં ઉત્તરાખંડમાં થયેલા અંકિતા ભંડારી હત્યા કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓ- પુલકિત, સૌરભ અને અંકિતને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે ત્રણેય દોષીતોને આજીવન કેદની સજા ફટકારવા સાથે જ 50-50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ત્રણેય આરોપીઓને કલમ 302, 354, 120 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોટદ્વારાની ADJ કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.
18 સપ્ટેમ્બર, 2022ના રોજ, વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા કરી દેવામાં આવી હતી અને તેનો મૃતદેહ ચીલાની શક્તિ નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ઘટનાના એક અઠવાડિયા બાદ અંકિતાનો મૃતદેહ ચીલા નહેરમાંથી મળી આવ્યો હતો.
ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ, કોટદ્વારની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ અંકિતા ભંડારી હત્યા કેસમાં સજા જાહેર કરશે. સમગ્ર ઉત્તરાખંડ અને દેશના લોકોની નજર કોર્ટના આ નિર્ણય પર ટકેલી છે. કોટદ્વારમાં આ માટે પોલીસ પ્રશાસન દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ગઢવાલ વિભાગના વિવિધ જિલ્લાઓમાંથી પોલીસ ફોર્સ કોટદ્વાર બોલાવવામાં આવી છે. કોર્ટ પરિસરની બહારના રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે જેથી કોઈ ગરબડ ન થાય.
19 મેના રોજ, બચાવ પક્ષની દલીલોનો જવાબ આપતા ફરિયાદ પક્ષના એડવોકેટ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર અવનીશ નેગી દ્વારા સુનાવણીનો સિલસિલો પૂર્ણ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોની બહેસ અને દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે ચૂકાદો સંભળાવવા માટે 30 મેની તારીખ આપી હતી.
કોટદ્વાર સ્થિત ADJ કોર્ટમાં 30 જાન્યુઆરી, 2023ના રોજ કેસની સુનાવણી શરૂ થઈ હતી. SITની તપાસ બાદ, ફરિયાદી પક્ષ દ્વારા કોર્ટમાં 500 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અંકિતા હત્યા કેસમાં ત્રણેય આરોપીઓ, વનંત્રા રિસોર્ટના માલિક પુલકિત આર્ય, તેના કર્મચારી સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા સામે આરોપો નક્કી થયા બાદ 28 માર્ચ, 2023થી ફરિયાદી પક્ષની જુબાની શરૂ થઈ હતી.
લગભગ 2 વર્ષ અને 8 મહિના સુધી ચાલેલા ટ્રાયલમાં, ફરિયાદી પક્ષ દ્વારા તપાસ અધિકારી સહિત 47 સાક્ષીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જોકે SITએ આ કેસમાં લગભગ 97 સાક્ષીઓને રજૂ કર્યા હતા, જેમાંથી માત્ર 47 મહત્વપૂર્ણ સાક્ષીઓને જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ આ કેસમાં પોતાનો ચુકાદો આપતા ત્રણેય દોષીતોને આજીવન કેદની સજા ફટકારવા સાથે જ 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો અંકિતાના પિતાએ ત્રણેય આરોપો માટે મૃત્યુદંડની માગ કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp