Parliament Stampede Case: દિલ્હી પોલીસે આ વસ્તુને લઇને સ્પીકર પાસે માગી મંજૂરી, રી-ક્રિએટ કરી શકે છે સીન
Delhi Police Investigation on Parliament Stampede: સંસદના મકર ગેટ પાસે થયેલી ધક્કા-મુક્કીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી પોલીસ હવે આ મામલે તેની તપાસ આગળ ધપાવશે અને સંસદ સંકુલના CCTV ફૂટેજ એકત્રિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે આ અંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પાસેથી મંજૂરી માગી છે.
દિલ્હી પોલીસ ઘટનાસ્થળ પર સીન પણ રી-ક્રિએટ કરી શકે છે. આ સિવાય પોલીસ રાહુલ ગાંધીને તપાસમાં સામેલ થવા માટે નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇજાગ્રસ્ત સાંસદોના નિવેદન લીધા બાદ અને ફૂટેજ મેળવ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે જઈને સીન રીક્રિએટ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, 19 ડિસેમ્બર 2024ના રોજ સંસદમાં વિપક્ષના પ્રદર્શન દરમિયાન હોબાળો થયો હતો. જેમાં ભાજપના 2 સાંસદો (પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત) પડીને ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. ત્યારબાદ ભાજપે આરોપ લગાવ્યો હતો કે આ બંને સાંસદોને રાહુલ ગાંધીએ ધક્કો મારીને પાડ્યા.
19 ડિસેમ્બરની સાંજે ભાજપના સાંસદ હેમાંગ જોશી, અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજ આ મામલે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, પોલીસે BNSની કલમ 109 (હત્યાનો પ્રયાસ) હટાવીને બાકી બધી કલમો ઉમેરીને કેસ નોંધ્યો હતો.
હકીકતમાં, રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર પર ટિપ્પણી કરી હતી. આ અંગે વિપક્ષ ખૂબ જ આક્રમક હતું. કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ આ નિવેદનને લઈને સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે કહ્યું કે અમિત શાહે માફી માગવી જોઈએ અને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. વિપક્ષ દ્વારા સંસદ પરિસરમાં સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. તે દિવસે ભાજપના સાંસદો પણ કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન ધક્કા-મુક્કી થઈ હતી અને ભાજપના 2 સાંસદો પડી જતા ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp