છ કરોડ ખાતાધારકોને સરકાર તરફથી મોટી ભેટ, ઇપીએફ વ્યાજદરમાં આટલાં ટકાન કરાયો વધારો
EPFOએ પોતાના છ કરોડ ખાતાધારકોને મોટી ભેટ આપી છે. EPFOએ EPFમાં જમા રકમ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં હવે પીએફ ખાતાધારકને 8.15 ટકાના દરે વ્યાજ મળશે. EPFOએ માર્ચમાં 2021-22 માટે EPF પરનું વ્યાજ ઘટાડીને 8.1 ટકા કર્યું હતું. EPFO પીએફ ખાતાધારકના ખાતામાં જમા થયેલી રકમનું ઘણી જગ્યાએ રોકાણ કરે છે. આ રોકાણમાંથી થતી કમાણીનો એક ભાગ વ્યાજના રૂપમાં ખાતાધારકોને આપવામાં આવે છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. CBT એ EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે અને તેનું નેતૃત્વ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરે છે. EPF વ્યાજ દરમાં વધારાથી લગભગ છ કરોડ સક્રિય સબસ્ક્રાઇબર્સને ફાયદો થશે. તેમાંથી FY22માં 72.73 લાખ પેન્શનરો હતા.
ગયા વર્ષે માર્ચ મહિનામાં સરકારે પીએફ ખાતામાં જમા રકમ પર વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કર્યો હતો. આ લગભગ 40 વર્ષમાં સૌથી નીચો વ્યાજ દર છે. 1977-78માં EPFOએ 8 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો. પરંતુ ત્યારથી તે સતત 8.25 ટકા કે તેથી વધુ છે. નાણાકીય વર્ષ 2018-19માં 8.65 ટકા, 2017-18માં 8.55 ટકા, 2016-17માં 8.65 ટકા અને નાણાકીય વર્ષ 2015-16માં 8.8 ટકા વ્યાજ મળ્યું હતું.
કર્મચારીના પગાર પર 12% કપાત EPF ખાતા માટે છે. કર્મચારીના પગારમાં એમ્પ્લોયર દ્વારા કરવામાં આવેલી કપાતમાંથી 8.33 ટકા EPS (કર્મચારી પેન્શન સ્કીમ) સુધી પહોંચે છે, જ્યારે 3.67 ટકા EPF સુધી પહોંચે છે. તમે તમારા પીએફ એકાઉન્ટનું વર્તમાન બેલેન્સ ઘરે બેઠા સરળતાથી ચેક કરી શકો છો. આ માટે ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. તમે ઉમંગ એપ, વેબસાઇટ દ્વારા અથવા તમારા મોબાઇલ ફોન પરથી SMS મોકલીને જાણી શકો છો. દેશભરમાં લગભગ 6.5 કરોડ EPFO સબસ્ક્રાઇબર્સ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp