સરકારની ટ્વિટરને આખરી ચેતવણી : નવા નિયમો લાગૂ કરો અથવા કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહો

સરકારની ટ્વિટરને આખરી ચેતવણી : નવા નિયમો લાગૂ કરો અથવા કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહો

06/05/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

સરકારની ટ્વિટરને આખરી ચેતવણી : નવા નિયમો લાગૂ કરો અથવા કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહો

નવી દિલ્હી : નવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો અંગે કેન્દ્ર સરકાર અને માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર હવે સામસામે આવી ગયા છે. છેલ્લા થોડા સમયથી કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે કેન્દ્રે ટ્વિટરને સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તેણે નવા આઈટી નિયમોનું પાલન કરવું પડશે. જો ટ્વિટર આમ ન કરે તો સરકારે તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.

કેન્દ્ર સરકારે આજે શનિવારે ટ્વિટરને છેલ્લી નોટીસ મોકલીને તેને નવા આઈટી નિયમોનું પાલન કરવાની અંતિમ તક આપી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, નવા દિશાનિર્દેશો 26 મેથી અમલમાં આવી ગયા છે. આ નિયમોનું પાલન કરવા માટે સોશિયલ મીડિયા કંપનીઓને આપવામાં આવેલો ત્રણ મહિનાનો સમયગાળો પણ પૂરો થઈ ગયો છે. તેમ છતાં ટ્વિટરે ભારતમાં મુખ્ય અનુપાલન અધિકારી, નોડલ સંપર્ક અધિકારી અને ફરિયાદ અધિકારીની નિમણુક નથી કરી.

ભારતમાં રહેવું હોય તો નિયમો-કાયદાઓ માનવા પડશે : સરકાર 

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ટ્વિટર દ્વારા નવા નિયમોનું પાલન કરવાથી ઇનકાર કરવો એ દર્શાવે છે કે તેનામાં પ્રતિબદ્ધતાની કમી છે અને તે ભારતના લોકોને પોતાના મંચ ઉપર સુરક્ષિત અનુભવ પૂરો પાડવાનો પ્રયત્ન નથી કરવા માગતી. સરકારે આ સાથે જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, જો કંપનીએ ભારતમાં રહેવું હશે તો તેણે દેશના નિયમ અને કાયદાઓને માનવા પડશે.

ટ્વિટરે દિલ્હી હાઇકોર્ટને કહ્યું હતું કે, તેણે નવા નિયમો લાગૂ કરી દીધા છે અને ભારતમાં 28 મેના દિવસે સ્થાનિક ફરિયાદ અધિકારીની નિમણુક પણ કરી દીધી છે. પરંતુ સરકારે કહ્યું કે, ટ્વિટરે નિયુક્ત કરેલા સ્થાનિક ફરિયાદ અધિકારી અને નોડલ સંપર્ક અધિકારી ટ્વિટરના કર્મચારી નથી. વળી ટ્વિટરે પોતાના કાર્યાલયનું સરનામું એક લો ફર્મની ઓફીસનું આપ્યું છે જે નિયમોની વિરુદ્ધ છે.

ટ્વીટરે ઉપ-રાષ્ટ્રપતિના અકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી લીધું હતું, વિવાદ વધ્યા બાદ બહાલ કર્યું 

સરકાર અને ટ્વીટર વચ્ચેના વિવાદ વચ્ચે આજે ટ્વીટરે ઉપ-રાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના પર્સનલ અકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી લીધું હતું. જોકે, વિવાદ વકર્યા બાદ અને એક્શનના અણસાર બાદ ફરીથી ટિક બહાલ કરવામાં આવ્યું હતું. ઉપ-રાષ્ટ્રપતિ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અને અન્ય પદાધિકારીઓના ટ્વીટર અકાઉન્ટ અન-વેરિફાઇડ કરી દેવામાં આવ્યા હતા. એટલે કે તેમના વેરિફાઇડ અકાઉન્ટ માટે વપરાતા બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યા હતા. 

સરકાર કડક પગલાં લેવાની તૈયારીમાં 

ટ્વીટરની આ હરકતથી સરકાર નારાજ હોવાનું જાણવા મળેલ છે તેમજ કોઈક કડક એક્શન લેવાના મૂડમાં પણ દેખાઈ રહી છે. સરકારની આ 'અંતિમ ચેતવણી' બાદ ટ્વીટર નમતું મૂકશે કે સરકાર કોઈ એક્શન લેશે તે અંગે સોશિયલ મીડિયા ઉપર અનેક અટકળો ચાલી રહી છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top