બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. 30 ડિસેમ્બરની વહેલી સવારે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં 80 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ ગઈકાલે રાત્રે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. પૂર્વ વડાપ્રધાનના સ્વસ્થ્ય બગડવાથી ઢાકાની એવરકેર હોસ્પિટલમાં હોબાળો મચી ગયો. ખાલિદા ઝિયાની તબિયત બગડવાના સમાચાર ફેલાતાં જ, BNP સમર્થકો અને નેતાઓ હોસ્પિટલની બહાર ભેગા થવા લાગ્યા.
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વેરિફાઇડ ફેસબુક પેજ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ખાલિદા ઝિયાનું નિધન સવારે લગભગ 6:00 વાગ્યે, ફજ્રની નમાઝ પછી થયું.’
ખાલિદા ઝિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેઓ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વડા પણ હતા. તેમના મૃત્યુની જાહેરાત BNP મીડિયા સેલના સત્તાવાર ફેસબુક પેજ પર કરવામાં આવી હતી.
ખાલિદા ઝિયાના પુત્ર, તારિક રહેમાન 17 વર્ષ પછી 25 ડિસેમ્બરે લંડનથી બાંગ્લાદેશ પરત ફર્યા હતા. જોકે, આ પરત આનંદ કરતાં વધુ દુઃખથી ભરેલું સાબિત થયું. દિવસભરના વ્યસ્ત કાર્યક્રમ પછી, તારિક રહેમાન મોડી રાત્રે સીધા હોસ્પિટલમાં ગયા અને ઘણા કલાકો ત્યાં રહ્યા.
12 ફેબ્રુઆરી, 2026ના રોજ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. ઓગસ્ટ 2024માં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ, વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પડી હતી. એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી, અને ત્યારથી મુહમ્મદ યુનુસ તેનું નેતૃત્વ કરી રહ્યા છે. તેથી, આ ચૂંટણીઓ પહેલાં તારિક રહેમાનનું બાંગ્લાદેશ પરત ફરવું અને ખાલિદા ઝિયાના મૃત્યુને મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ માનવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp