સુનિલ શેટ્ટીને તમાકુની જાહેરાત માટે કરોડો રૂપિયાની ઓફર મળી હતી, પરંતુ ના પાડી દીધી
બોલિવૂડ ઉદ્યોગને આમ તો ઘણા કારણોસર ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ એક કારણ છે જે બધાને નારાજ કરે છે. અભિનેતાઓ ક્યારેક એવા ઉત્પાદનોનો પ્રચાર કરે છે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અજય દેવગન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા ટોચના સ્ટાર્સ પાન મસાલાની જાહેરાતોમાં દેખાયા છે, જેના કારણે ભારે ટ્રોલનો સામનો કરવો પડ્યો છે.
ચાહકો માટે પોતાના સ્ટાર્સને આવા હાનિકારક ઉત્પાદનોનો પ્રચાર કરતા જોવાનું નિરાશાજનક છે. ઘણા લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અક્ષય કુમારે પોતે પછીથી આવી જાહેરાતો કરવાનો ઇનકાર કરી દીધો. હવે, બીજા એક મોટા બોલિવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી કહે છે કે તેમને પણ આવી હાનિકારક જાહેરાતો કરવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી.
પીપિંગ મૂન સાથેની વાતચીતમાં જ્યારે અભિનેતાને તમાકુનું સમર્થન કરતા સ્ટાર્સ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, ‘મને તમાકુની જાહેરાત માટે 40 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. મેં તે માણસ જોઈને સીધું જ કહ્યું, ‘શું તમને લાગે છે કે હું પૈસાથી લલચાઈ જઈશ? હું આવું નહીં કરું.’
‘કદાચ મને ખરેખર તે પૈસાની જરૂર હતી, પરંતુ નહીં, હું તે નહીં કરું. આ એવી વસ્તુ છે જેમાં હું માનતો નથી. હું એવું કંઈ નહીં કરું જેનાથી મારા બાળકો, અહાન અને આથિયાની છબી ખરાબ થાય. હવે, કોઈ આવી ઓફરો લઈને મારી પાસે આવવાની હિંમત પણ નથી કરતું.’
સુનિલ શેટ્ટીએ વધુમાં કહ્યું કે, ‘મારો સિનેમા કે બોક્સ ઓફિસમાં બહુ પ્રભાવ નથી, છતા 17-18 વર્ષના બાળકો મને ખૂબ જુએ છે અને ફોલો કરે છે. મને એટલો પ્રેમ અને આદર મળે છે કે વિશ્વાસ નથી થતો. હું ખરેખર નસીબદાર છું. તો, શું હું થોડા કરોડ રૂપિયા માટે આ બધું કરીશ? ના, ભાઈ, જરાય નહીં કરું.’
સુનિલ શેટ્ટીના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો એક્ટર ટૂંક સમયમાં બે મુખ્ય ફિલ્મો ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘હેરાફેરી 3’માં જોવા મળવાના છે. ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ થયું છે. આ ફિલ્મ આગામી વર્ષે 2026માં રીલિઝ થવાની છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp