‘શોલે’માં ગબ્બરનો રોલ કરનાર ખૂંખાર અમજદ ખાનની ગાડીએ જ્યારે એવી પલટી મારી કે... : ખૂંખાર વિલનની મૃત્યુતિથીએ કેટલીક યાદગાર વાતો જાણો
Amjad Khan’s Death Anniversary : ભારતીય ફિલ્મોના રસિયાઓ પૈકી ભાગ્યે જ કોઈ એવું હશે જેણે 1975માં રજૂ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’ ન જોઈ હોય. માત્ર કમાણીની દ્રષ્ટિએ જ નહિ, પણ પાત્રોની દ્રષ્ટિએ પણ શોલેને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક મહાન ફિલ્મ ગણવામાં આવે છે. સામાન્ય રીતે લોકો હીરોના મોઢે બોલાતા ડાયલોગ્સ યાદ રાખતા હોય છે. પરંતુ શોલે એક એવી ફિલ્મ હતી, જેમાં જગદીપ અને અસરાની જેવા કોમેડિયન અને એ.કે. હંગલ જેવા ચરિત્ર અભિનેતાઓના ડાયલોગ્સ પણ લોકોને મોઢે થઇ ગયેલા! જો કે આ બધા વચ્ચે શોલે ફિલ્મનું સૌથી અવિસ્મરણીય પાત્ર હતું ‘ગબ્બરસિંહ’. આમ તો ગબ્બરનું પાત્ર ખલનાયકી કરતું હતું, પણ એના જાનદાર સંવાદો અને અમજદ ખાનની એક્ટિંગને કારણે લોકોને એ પાત્ર અત્યંત ગમી ગયું. આજે 27 જુલાઈએ અમજદ ખાનની મૃત્યુ તિથી છે. 1992માં માત્ર 51 વર્ષની વયે અમજદ ખાનનું મૃત્યુ થયેલું. અમજદ ખાનના જીવન વિષે કેટલીક રોચક વાતો જાણીએ.
પશ્તુન ફેમિલીમાં જન્મેલા અમજદ ખાને મુંબઈમાં શિક્ષણ મેળવ્યું. કોલેજનું ભણતર પૂરું કર્યા બાદ એક્ટિંગનો શોખ પૂરો કરવા માટે અમજદ થિયેટર પ્રવૃત્તિ સાથે જોડાયા. એ પછી ફિલ્મોમાં આવ્યા. સૌથી પહેલો યાદગાર રોલ એટલે ફિલ્મ શોલેનું અમર પાત્ર ‘ગબ્બર સિંઘ’. પણ શું તમે જાણો છો કે આ રોલ માટે ડિરેક્ટરની પહેલી પસંદ અમજદ ખાન નહોતા. આ રોલ પહેલા ડેનીને ઓફર થયેલો. પરંતુ બીજી ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે ડેનીએ આ રોલ છોડી દીધેલો. એવું કહેવાય છે કે શત્રુધ્ન સિંહાએ પણ ગબ્બરનો નેગેટિવ રોલ કરવાની ના પાડેલી. એ પછી આ રોલ પ્રમાણમાં અમજદ ખાનને ઓફર થયો, એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટરી.
અમજદ ખાન જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે બાંદ્રાના એક બિલ્ડીંગમાં રહેતા હતા. એ જ બિલ્ડીંગમાં મરહૂમ શાયર અને લેખક અખ્તર-ઉલ-ઈમાન અને પણે રહેતા. અખ્તરની એક ટીન એજ દીકરી હતી, શેહલા. યુવાન અમજદનું ડીલ આ શેહલા નામની ખૂબસુરત યુવતી પર આવી ગયું. એ સમયે શેહલા માત્ર 14 વર્ષની હતી. અમજદે શેહલાના પરિવાર સમક્ષ લગ્ન અંગેનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ શેહલાની ઉંમર કાચી હોવાને કારણે એના પરિવારે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. પરંતુ અમજદ અને શેહલા વચ્ચે પત્ર વ્યવહાર મારફત ઈલુ-ઈલુ ચાલુ રહ્યું. આખરે 1972માં બન્ને પરણી ગયા.
અમજદે શોલે ફિલ્મ સાઈન કરી, એ જ અરસામાં એના પ્રથમ પુત્ર શાદાબનો જન્મ થયેલો. (જે પાછળથી ફિલ્મોમાં આવ્યો, પણ ખાસ કશું ઉકાળી ન શક્યો.) અમજદ અને શેહલાને કુલ ત્રણ સંતાનો થયા.
શોલેની સફળતા બાદ 1976માં અમજદ ખાન એક ફિલ્મના શૂટિંગ માટે બાય રોડ ગોવા જઈ રહ્યા હતા. સાથે પત્ની શેહલા પણ હતી. એ સમયે શેહલા ગર્ભવતી હતી. મુંબઈથી નીકળ્યા ત્યારે કાર ડ્રાઈવર જ ચલાવતો હતો. પણ એણે અકાહી રાત ડ્રાઈવિંગ કર્યું હોવાથી અમજદ ખાને એને આરામ કરવા કહ્યું, અને સ્ટિયરિંગ પોતાના હાથમાં લીધું.
ચાલુ ડ્રાઈવિંગે અમજદે કેસેટ બદલવાની કોશિષ કરી, અને બેધ્યાન થવાને કારણે કારણે કાર પલટી મારી ગઈ! જ્યારે થોડી કળ વળતા આંખ ખૂલી, ત્યારે અમજદે જોયું કે તેઓ લોહીના ખાબોચિયામાં પડેલા હતા. પત્ની શેહલાના મન પર આ અકસ્માતની ઊંડી છાપ પડી ગઈ. એના અનેક હાડકા ફ્રેક્ચર થયા અને થોડા સમય માટે એ સ્મૃતિભ્રંશનો ભોગ પણ બની! આ સમયગાળા દરમિયાન શેહલા પોતે કોણ છે, એ ય ભૂલી જતી! ખાન દંપત્તિ માટે આ દિવસો બહુ કપરા હતા.
જો કે પોતાની અભિનય પ્રતિભાને જોરે અમજદ ખાન પછીના વર્ષોમાં પણ અનેક યાદગાર પાત્રો ભજવી શક્યા અને છેવટ સુધી એક ફેમિલી મેન બની રહ્યા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp