‘20 ડિગ્રીથી ઓછું અને 28 ડિગ્રીથી વધુ નહીં હોય ACનું તાપમાન..’, કેન્દ્ર સરકાર લઈને આવી રહી છે નવો નિયમ
New AC Rules Soon: દેશભરમાં પ્રવર્તી રહેલી તીવ્ર ગરમી અને લૂની સ્થિતિ વચ્ચે, કેન્દ્ર સરકારે એર કન્ડિશનર (AC)ના ઉપયોગને લઈને એક મોટી યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે જણાવ્યું હતું કે, હવે ACનું તાપમાન પ્રમાણિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ પગલું ઉર્જા સંરક્ષણ, વીજળીના વપરાશમાં ઘટાડો અને પર્યાવરણીય સંતુલનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે વર્ષ 2047 માટે મોદી સરકારના વિઝનની રૂપરેખા આપી હતી. તેમણે છેલ્લા દાયકામાં આર્થિક અને માળખાકીય વિકાસમાં સરકારની નોંધપાત્ર પ્રગતિ પર ભાર મૂક્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખટ્ટરે કહ્યું કે, ‘મોદી સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે અને નિર્ધારિત લક્ષ્યો સાથે, તેમને પ્રાપ્ત કરવા માટે આપણી પાસે 22 વર્ષ બાકી છે. 2047 સુધીમાં, અમારું લક્ષ્ય વિકસિત ભારત બનાવવાનું છે અને આગામી વર્ષોમાં અમે છેલ્લા દાયકામાં થયેલી પ્રગતિને અનેક ગણું કામ કરીશું. વિકસિત ભારતનો અર્થ એ છે કે એક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક કદ હાંસલ કરવાનો. અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે, આપણે વેપાર, ઉદ્યોગ, જીવનધોરણ અને વીજ ક્ષેત્રને વધારવાની જરૂરિયાત છે, જે તમામ ક્ષેત્રોને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.’
આ દરમિયાન, મંત્રી ખટ્ટરે કહ્યું કે, સરકાર એક નવી વ્યવસ્થા લાગૂ કરી રહી છે જેના હેઠળ દેશભરના તમામ ACનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નહીં લઈ જઇ શકાય. આ વ્યવસ્થા ઠંડક કરવા અને ગરમી કરવા બંને પરિસ્થિતિઓમાં લાગૂ પડશે. તેમણે કહ્યું કે, ‘ACના તાપમાનને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે. હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી 28 ડિગ્રી વચ્ચે રહેશે. એટલે કે, તે ઠંડક માટે 20 ડિગ્રીથી ઓછું અને ગરમી માટે 28 ડિગ્રીથી વધુ નહીં કરી શકાય. આ એક પ્રકારનો પ્રયોગ છે અને અમે તેને પહેલી વાર શરૂ કરી રહ્યા છીએ. ઘણા દેશો એવા છે, જેમ કે જાપાને તેને 26 ડિગ્રી સુધી પ્રમાણિત કર્યું છે. ઇટાલીમાં 23 ડિગ્રીમાં કરવામાં આવ્યું છે. જે દેશોમાં ખૂબ ફોરવર્ડ માનવામાં આવે છે, ત્યાં આ સ્ટાન્ડર્ડ છે. અમે તેને 20 ડિગ્રી કર્યું છે. મને નથી લાગતું કે કોઈ 20 ડિગ્રીથી ઓછા તાપમાને AC ચલાવીને ઊંઘતું હશે.’
આ અગાઉ, તેમણે છેલ્લા 11 વર્ષમાં કેન્દ્ર સરકારની વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓની વિગતો આપતી એક વ્યાપક ઈ-બુક પણ જાહેર કરી. વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 11 વર્ષ પૂર્ણ કરશે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, આ 11 વર્ષ સમાવેશી, પ્રગતિશીલ અને ટકાઉ વિકાસ લાવવા માટે સમર્પિત રહ્યા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકાર તમામ નાગરિકો માટે સમાનતા અને તકો ઊભી કરવાની પ્રતિબદ્ધતામાં દૃઢ રહી છે. વડાપ્રધાન મોદીએ વિકાસની રાજનીતિ- વિકાસવાદને મુખ્ય ધારામાંમાં લાવી દીધી છે, જેનાથી તે કેન્દ્ર બિંદુ બની ગયું છે, જેની આસપાસ હવે રાજકીય વિમર્શ અને નીતિગત કાર્યવાહી ફરે છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp