Air India Plane Crash: અમદાવાદમા આજે અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાણ ભરતાની સાથે જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. APના રિપોર્ટ મુજબ, આ દુર્ઘટનામાં કોઈના બચવાની સંભાવના નથી. અત્યાર સુધી સત્તાવાર મોતનો આંકડો સામે આવ્યો નથી, પરંતુ 210 જેટલા લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હોવાનું કહેવામા આવી રહ્યું છે. એવા અહેવાલ છે આ દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થઈ ગયું છે. આ દુર્ઘટનામાં મૃતકોની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઓળખવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તંત્ર દ્વારા પરિવારજનોને DNA ટેસ્ટ કરાવવા માટે કહેવામા આવ્યું છે, જેથી મૃતદેહોની ઓળખ થઈ શકે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના અનેતાઓ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. વિજય રૂપાણીના ઘર બહાર ભારે ભીડ જામી છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સત્તાવાર આ મામલે માહિતી આપી છે.
ધારાસભ્ય માવજી દેસાઇએ ટ્વીટ કરતા લખ્યું કે, અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સાદગી, સરળ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના દુઃખદ નિધનના સમાચારથી સ્તબ્ધ છું પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો અને કાર્યકરોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.
તો જશવંત સિંહ ભાભોરે ટ્વીટ કરતા લખ્યું કે, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સરળ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના દુઃખદ નિધનના સમાચારથી સ્તબ્ધ છું. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું હતું કે વિજયભાઇ રૂપાણી, જેમની સાથે ગુજરાત વિધાનસભામાં એક સાથી તરીકે કામ કર્યું હતું. તેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુંના સમાચાર દુર્ભાગ્યપૂર્ણ છે. અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘાયલ થયા છે તેવા સમાચારોથી ખુબ વ્યથિત છું.
દુર્ઘટનાગ્રસ્ત લોકોને મદદરૂપ બનવા, બ્લડ ડોનેટ કરવા અને પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવા કોંગ્રેસ કાર્યકર્તાઓને વિનંતી કરું છું. વિસાવદર અને કડીની પેટા ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે આજના દિવસની તમામ જાહેર સભાઓ, સ્વાગત સમારોહ, રેલીઓ રદ્દ કરવાની ઘોષણા કરું છું. સમગ્ર કોંગ્રેસ પરિવાર શોકગ્રસ્ત પરિવારોની સાથે દુઃખમાં સહભાગી છે. ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરું છું અને મૃતકોને શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.