ગોલ્ડન ટોઇલેટ પર બેઠેલા ટ્રમ્પ: ‘કિંગ’ની માફક વર્તી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ સામે ‘કિંગસાઈઝ’ વિરોધ! રસ્તે ઉતરી પડ્યા લાખો લોકો!
શનિવારે અમેરિકામાં લાખોની સંખ્યામાં લોકો ટ્રમ્પનો વિરોધ કરવા માટે રેલીઓમાં એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ લોકશાહીના બચાવ માટે અને સરમુખત્યારશાહી શાસનનો વિરોધ કરવા માટે આ પ્રદર્શનો કરી રહ્યા છે. રેલીઓમાં લોકો ‘નો કિંગ્સ’ નારા હેઠળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વોશિંગ્ટન, ડીસી ખાતે થયેલ આ પ્રદર્શનો દરમિયાન ટ્રમ્પની લશ્કરી પરેડ સામે, ભારે વરસાદ અને વિરોધ વચ્ચે સુવર્ણ ટોઇલેટ પર તેમની પ્રતિમા મુખ્ય આકર્ષણ બની.
આ વિરોધ પ્રદર્શનો દ્વારા પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અનિયંત્રિત શક્તિથી શાસન કરનાર અને કાયદાઓ અને કોર્ટના ચુકાદાઓને અવગણનાર એક રાજા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે છે. ગયા અઠવાડિયે, લોસ એન્જલસમાં ટ્રમ્પના ઇમિગ્રેશનની કડક કાર્યવાહી વિરુદ્ધ પ્રદર્શનો સામે ટ્રમ્પે નેશનલ ગાર્ડને બોલાવ્યા હતા. ‘નો કિંગ્સ’ નારા હેઠળ થઈ રહેલા કાર્યક્રમો ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટ, તેની વિવાદાસ્પદ ઈમિગ્રેશન નીતિઓ અને ટ્રમ્પ જે રીતે સત્તાનો ઉપયોગ કરી રહ્યો છે તેની વિરુદ્ધમાં કરાયેલ પ્રદર્શનોનું શ્રેણીબદ્ધ આયોજન હતું.
14 જૂન, 1777 ના રોજ યુ.એસ. ધ્વજ અપનાવવામાં આવ્યો હતો. આ દિવસને અમેરિકામાં ફ્લેગ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકન આર્મી પણ 14 જૂન 1775 ના રોજ સ્થપાઈ હતી. આમ, 14 જૂન 2025 શનિવારે અમેરિકન સેનાના 250મા જન્મદિવસે તેમજ ફ્લેગ ડે નિમિત્તે વોશિંગ્ટન, ડીસીમાં રાષ્ટ્રપતિની લશ્કરી પરેડનો તથા ટ્રમ્પ વહીવટનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તે ઉમટી પડ્યા હતા. અનેક સંસ્થાઓએ સંયુક્તપણે રેલીઓનું આયોજન કર્યું હતું. જેમાં 2016માં ટ્રમ્પની પહેલી ચૂંટણી જીત બાદ રચાયેલ પ્રોગ્રેસિવ ગૃપ, અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન, અને 50501 ગ્રુપનો સમાવેશ થાય છે. ટ્રમ્પની બીજી ટર્મ દરમિયાન 50501 ગ્રુપ રચાયું છે, જેનો મુખ્ય ઉદ્દેશ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવાનો છે. 50501 આંકડો 50 રાજ્યો, 50 વિરોધ પ્રદર્શનો, 1 આંદોલનની વિભાવના રજૂ કરે છે.
પ્રદર્શનકારીઓ માને છે કે ટ્રમ્પના શાસન દરમિયાન ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, લોકોને રસ્તાઓ પરથી ગાયબ કરીને દેશનિકાલ આપવામાં આવ્યો છે, નાગરિક અધિકારો પણ સુરક્ષિત નથી. અદાલતોને કાબૂ કરવાની કોશિશ થઇ રહી છે. આ લોકોનું માનવું છે કે અમેરિકા જેવા લોકશાહીને વરેલા દેશમાં ટ્રમ્પ એક સરમુખત્યાર રાજાની જેમ વર્તી રહ્યા છે, પરંતુ દેશને સિંહાસન, તાજ કે રાજાની જરૂર નથી – લોકશાહીની જરૂર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp