ફાયર સેફ્ટી SOPને સુરત મહાનગરપાલિકાએ અપડેટ કરી: પરવાનગી લીધી ના હોય તેવી મિલકતો માટે ખાસ જોગવાઈ
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ અને રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગના ભયાનક દ્રશ્યો વિસરાય તેવા નથી. આગની આ દુર્ઘટનાઓને "માનવસર્જિત આપત્તિ" ગણી શકાય અને યોગ્ય તકેદારીના પગલાઓ દ્વારા આ દુર્ઘટનાઓને ટાળી શકાય હોત.
રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગેલી આગ પછી ગુજરાત સરકારે ગેમ ઝોન અને કોમર્શિયલ પ્રવૃત્તિ માટે કડક ગાઈડલાઈન્સ પણ જાહેર કરી હતી. આ ગાઈડલાઈન અંતર્ગત રાજ્યની બધી જ મહાનગર પાલિકાઓ અને સંલગ્ન કોમર્શિયલ એટલે કે વાણિજ્ય એકમોને પરવાનો એટલે કે લાઈસન્સ ઈશ્યૂ કરવાં માટે જરૂરી મંજૂરીઓ મેળવવાની તથા વિવિધ સરકારી વિભાગોને તેમની સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસીજર એટલે કે SOP નિશ્ચિત કરવાના સુચનો અપાયા છે. જ્યાં અત્યાર સુધી કોઈ પણ દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોની રહેશે તે નિશ્ચિત કરી શકાતું નઈ હતું ત્યાં SOP નિશ્ચિત કરવાથી દુર્ઘટનાની સ્થિતિમાં કોની જવાબદારી રહેશે તે સુનિશ્ચિત થઇ જશે.
ઉલ્લખનીય છે કે સુરત મહાનગરપાલિકાએ પોતાની SOP નક્કી કરી નાંખી છે. કોઈ પણ સ્થિતી માટે હવે જગ્યાના માલિકો અને સંચાલકોની જવાબદારી રહેશે એવું નક્કી કરવામાં આવ્યું છે. સુરતમાં ઔદ્યોગિક એકમો, તેની ભૌગોલિક પરિસ્થિતિ અને અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને 50 કે તેથી વધું લોકો જ્યાં ભેગા થતાં હોય તેવા બિલ્ડીંગ માટે SOP નક્કી કરી નાંખી છે. સુરત મનપા એ આવી મિલકતોને 9 વિભાગોમાં વિભાજીત કરી છે. દરેક ઝોનને પોતાના વિસ્તારમાં કાર્યરત આવી મિલકતોને ઓળખવાની જવાબદારી સોંપાઈ છે. જેમાં મિલકતદારોએ પોતાની મિલકત કાયદેસર છે, પ્લાન મંજૂર છે, બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ, બાંધકામ બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મુજબનું થયું છે તે અંગેની એફીડેવીટ આપવાની રહેશે. ભવિષ્યમાં ઓનલાઈન સિસ્ટમની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી મિલકતદારો ઓનલાઈન બાંહેધરી પણ આપી શકશે.
SOPની જોગવાઈઓ નિશ્ચિત મિલકતોની માટે વાર્ષિક કે અર્ધવાર્ષિક સ્થળ વિઝીટની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે કેટલીક કેટેગરીમાં વર્ષમાં બે વખત ફરજિયાત નિરીક્ષણ નક્કી કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત બાંધકામ વપરાશની પરવાનગી લીધી ના હોય પરંતુ બી.યુ પરવાનગી મળવાપાત્ર હોય તેવી મિલકતોને 14 દિવસમાં સંબંધિત ખાતા-ઝોન દ્વારા નિયત ફોર્મેટમાં સોફ્ટવેર કે પછી મેન્યુઅલી આ પરવાનગી મેળવી રજૂ કરવાનો ઓપ્શન સુરત મહાનગરપાલિકાએ ખુલ્લો કર્યો છે. નિયત દિવસોમાં આ પરવાનગી ના મેળવાય તો ખાતા કે ઝોન દ્વારા આ મકાનનો સીલ કરવાની કાર્યવાહી કરી શકાશે.
મિલકત નિયમિતતા માટે ગૃડા 2022 હેઠળ અરજી કરવામાં આવી હોય તો તેની ચકાસણી ઉપરાંત આ અરજીના નિકાલને અગ્રીમતા આપવાની રહેશે. પરંતુ જ્યાં સુધી ગૃડા હેઠળ બાંધકામ નિયમિત થાય નહી ત્યાં સુધી સ્થળ પર વપરાશ બંધ કરવાની કાર્યવાહી કરી શકાશે તેમજ બાંધકામ નિયમિતતા માટે યોગ્ય ના હોય તો એવા બાંધકામને નામંજૂર કરી સીલ કરવાની કાર્યવાહી કરી, વિભાગના વડા/ ઝોનલ ચીફ પાસે પરવાનગી લઈ બાંધકામ દૂર કરવા કાર્યવાહી કરી શકાશે. જો ગૃડા 2022 હેઠળ અરજી કરી ના હોય તો આવી મિલકતોનો ઉપયોગ તાકીદે બંધ કરવાનો રહેશે અને તેને સીલ કરવાની કાર્યવાહી કરી શકાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp