‘હૃદયને લગતી અથવા કોઈ અન્ય બીમારી હોય તો..’ હાર્ટએટેકના વધતાં કેસોને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના કારણે ઓછી ઉંમરના લોકોના મોત થઈ છે. રાજ્યમાં રોજ સરેરાશ 1-3 હાર્ટ અટેકની ઘટના બની રહી છે. તો આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોમ્પ્લેક્સમાં રમતગમતની પ્રેક્ટિસ માટે આવનાર લોકોને જો હૃદયને લાગતી અથવા અન્ય કોઈ બીમારી હોય તો તેવા લોકોએ રમતગમતની ટ્રેનિંગ લેવી નહીં. તેમજ ફિટનેસ માટેનું ડૉક્ટરી સર્ટિફિકેટ સંબંધિત રમતના કોચને રજૂ કરવા કે સંબંધિત વ્યક્તિની જવાબદારી રહેશે તે પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
હાલમાં બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, મેઇન્સ જિમ, સ્વિમિંગ પૂલ સહિતના સ્થળે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં રમતગમત રમવા આવનારા ખેલાડીઓએ યુનિવર્સિટીના આ નિર્ણયને આવકાર્યો છે. ખેલાડીઓનું કહેવું છે કે, એ જ પ્રકારે અન્ય યુનિવર્સિટી તેમજ શાળાઓમાં પણ આ પ્રકારના નિર્ણયનો અમલ થાય તો હાર્ટએટેકના કારણે થતા મોતને અટકાવી શકાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાણકારો મુજબ, નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં એક મહિલા સાંજના સમયે સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ કરી રહી હતી. તેને અચાનક સ્ટ્રોક આવતા તબિયત બગડી હતી. જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો કુલપતિ અને કુલસચિવ સુધી પહોંચતા ફિટનેસ સર્ટિ અંગેનો નિણર્ય લેવામાં આવ્યો છે.
સ્વિમિંગ સહિતની વધુ પડતી એક્સરસાઈઝ હૃદયની બીમારીવાળા વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ જ સંદર્ભે યુનિવર્સિટીએ નોટિસ લગાવવાની શરૂ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમિંગપુલ પર લગાવેલી નોટિસમાં હૃદયરોગની બીમારી ધરાવતા વ્યક્તિઓને સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp