Cricket : ટીમ ઇન્ડિયાની ખરાબ હાર બાદ વીરેન્દ્ર સેહવાગનું મોટુ નિવેદન; કહ્યું-' હું આગામી વર્લ્ડ કપમાં આ ખેલાડીઓને જોવા નથી માંગતો'
સ્પોર્ટ્સ ડેસ્ક : T20 વર્લ્ડ કપ 2022માં ભારતની હાર બાદ દિગ્ગજ ખેલાડીઓ ટીમના પ્રદર્શનની આકરી નિંદા કરી રહ્યા છે. કેટલાક ટીમના બેટિંગ અભિગમ પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાકનું કહેવું છે કે ઘણા સિનિયર ખેલાડીઓ ટી20 જેવા ફોર્મેટમાં ફિટ નથી. આ દરમિયાન પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે મોટુ નિવેદન આપતા કહ્યું છે કે તે આગામી વર્લ્ડ કપમાં વર્તમાન ટીમના કેટલાક ચહેરા જોવા નથી માંગતો. T20 વર્લ્ડ કપની આગામી આવૃત્તિ 2024માં રમાવાની છે અને સેહવાગનું માનવું છે કે ભારતે આ વર્લ્ડ કપ માટે અત્યારથી જ યુવા ટીમ તૈયાર કરવી જોઈએ.
Cricbuzz સાથે વાત કરતા, ભૂતપૂર્વ ભારતીય વિસ્ફોટક બેટ્સમેને કહ્યું, 'હું માનસિકતા વિશે વાત નહીં કરું પરંતુ હું ચોક્કસપણે ખેલાડીઓમાં પરિવર્તન જોવા માંગુ છું. હું આગામી વર્લ્ડ કપમાં કેટલાક ચહેરા જોવા નથી માંગતો. 2007ના T20 વર્લ્ડ કપમાં પણ આવું બન્યું હતું. આટલા વર્ષો સુધી રમનારા દિગ્ગજ ખેલાડીઓ એ વર્લ્ડ કપમાં ગયા ન હતા. યુવાનોનું એક જૂથ ગયું અને તેમની પાસેથી કોઈને અપેક્ષા નહોતી અને હું આગામી T20 વર્લ્ડ કપ માટે સમાન ટીમ જોવા માંગુ છું, કોઈ તેમની પાસેથી જીતવાની આશા રાખશે નહીં પરંતુ તે ટીમ ભવિષ્ય માટે ત્યાં હશે.'
સેહવાગે આ દરમિયાન કોઈનું નામ નથી લીધું, પરંતુ તે એવા ખેલાડીઓનો ઉલ્લેખ કરી રહ્યો છે જેમની ઉંમર 30ને પાર થઈ ગઈ છે. તેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, આર અશ્વિન, દિનેશ કાર્તિક અને કેટલાક અન્ય ખેલાડીઓ હોઈ શકે છે.
"જો તમે હવે તમારા ભવિષ્ય વિશે વિચારવાનું શરૂ કરશો, તો જ તમે બે વર્ષમાં એક ટીમ બનાવી શકશો," તેમણે ઉમેર્યું. હું આગામી વર્લ્ડ કપમાં કેટલાક નોન-પરફોર્મિંગ સિનિયર્સને જોવા નથી માંગતો. મને આશા છે કે પસંદગીકારો આવા નિર્ણયો લેશે. પરંતુ સમસ્યા એ છે કે શું આ પસંદગીકારો આગામી વર્લ્ડ કપ સુધી રહેશે? સિલેક્શન પેનલ હશે, નવું મેનેજમેન્ટ હશે, નવો અભિગમ હશે તો શું તેઓ ફેરફાર કરશે? પરંતુ એક વાત ચોક્કસ છે કે જો તેઓ એક જ ટીમ અને સમાન અભિગમ સાથે આગામી વર્લ્ડ કપમાં જશે તો પરિણામ પણ એક જ આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp