ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની નિમણુંક કેમ નથી કરી રહ્યું? કોળી સમાજના દિગ્ગજ નેતા ગણાતા કુંવરજી બાવળિયા શું બોલી ગયા?
ભારતીય જનતાપક્ષમાં અત્યારે અંદરખાને ‘મહામંથન’નો દોર ચાલી રહ્યો હોય એમ લાગે છે. ભાજપની છાપ ‘કેદ્ર બેઇઝ’ પાર્ટી અને ‘શિસ્તબદ્ધ પાર્ટી’ તરીકેની રહી છે. પણ છેલ્લા એકાદ વર્ષથી જે રીતે પક્ષપ્રમુખ પદ અંગેનું કોકડું ગૂંચવાયેલું જણાય છે, એ જોતા ખ્યાલ આવી રહ્યો છે કે પક્ષ હાઈકમાંડ અંદરખાને મોટી મૂંઝવણમાં છે. કોને સાચવવા અને કોને કટ ટુ સાઈઝ કરવા, એ બાબતનું મનોમંથન આસાન નથી. બીજી તરફ લાંબા સમયથી પક્ષ રાષ્ટ્રીય પ્રમુખ પણ જાહેર નથી કરી શક્યો. એટલે જાતજાતની ચર્ચાઓને વેગ મળી રહ્યો છે.
ગઢડા ખાતે કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેલ કુંવરજી બાવળિયાએ કહ્યું કે, પ્રદેશ પ્રમુખનો વિષય રાજકીય છે અને નિર્ણય ત્યાંથી લેવાશે. પરંતુ સમાજ માટે જે કરવાનું થતું હશે, એ માટે અમે સરકારમાં બેઠા છીએ. ભવિષ્યમાં ઓબીસી સમાજના મુખ્યમંત્રી બનશે તેના જવાબમાં કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, કોઈપણ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શક્તા હોય છે. જો કે બાવળિયાએ સ્પષ્ટપણે કશું જાહેર કર્યું નહોતું.
પ્રદેશ પ્રમુખને લઈને ત્રણેક દિવસ પહેલા ભાજપના નેતા દિલીપ સંઘાણીનું પણ નિવેદન સામે આવ્યું હતું. તેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકના સંકેત આપતા કહ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણુંક કરાશે.
ભાજપના નેતાઓ ફોડ પાડીને કશું કહેતા નથી, બીજી તરફ ભાજપના જ ધારાસભ્યોમાં નવા પ્રદેશપ્રમુખ કોણ બનશે એ બાબતે ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. સામાન્ય રીતે મંગળવારે ધારાસભ્યો ગાંધીનગરમાં મળતા હોય છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં ધારાસભ્યો વચ્ચે ચર્ચાનો ‘હોટ ટોપિક’ પણ આજ છે.
બીજી તરફ કુંવરજી બાવળિયાની વાત કરીએ તો અગાઉ પણ એમનું નામ મુખ્યમંત્રી માટે બોલાઈ ચૂક્યું છે. કુંવરજી જે સમાજમાંથી આવે છે, એ કોળી સમાજ ગુજરાતમાં પ્રભાવક વસતી ધરાવે છે. હાલમાં કેબિનેટ મંત્રીપદે રહેલા કુંવરજી બાવળિયા સાત વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ તરીકે ચૂંટાયા છે અને બહોળો રાજકીય અનુભવ ધરાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp