અંશુમન ગાયકવાડનું નિધન, કેન્સરથી હારી ગયા ભારતીય ટીમના પૂર્વ કોચ
ભારતીય ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડનું નિધન થઇ ગયું છે. 71 વર્ષીય ગાયકવાડ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. અંશુમન ગાયકવાડની હાલત જોઇને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવ મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે અન્ય લોકોને પણ મદદ માટે અપીલ કરી હતી. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
અંશુમન ગાયકવાડે 1974માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વન-ડે મેચ રમી હતી. 1970ના દાયકામાં ગાયકવાડ અને ગાવસ્કર (સુનિલ)ની જોડી હિટ હતી. ગાયકવાડે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 1985 રન બનાવ્યા હતા. તેમણે 1983માં પાકિસ્તાન સામે 201 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જે તેમનો સર્વોચ્ચ સ્કોર પણ હતો. અંશુમન ગાયકવાડ 1975 અને 1979ના વર્લ્ડ કપમાં પણ ટીમ ઇન્ડિયાનો હિસ્સો હતા.
અંશુમન ગાયકવાડે 1975ના વર્લ્ડ કપમાં ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ભારત અને ઈંગ્લેન્ડની જે મેચને સુનિલ ગાવસ્કરની ધીમી બેટિંગ માટે યાદ કરવામાં આવે છે. તે અંશુમનની ડેબ્યૂ મેચ હતી. અંશુમને તે મેચમાં 46 બોલમાં 22 રન બનાવ્યા હતા. સુનિલ ગાવસ્કર તએ મેચમાં 174 બોલમાં 36 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા.
આજે ભલે ક્રિકેટપ્રેમી રાહુલ દ્રવિડને ધ વૉલ તરીકે જાણતા હશે, પરંતુ 1970ના દાયકામાં અંશુમનને ધ ગ્રેટ વોલ કહેવામાં આવતા હતા. તેઓ પોતાની ડિફેન્સિવ બેટિંગથી વિપક્ષી બોલિંગ આક્રમણને ખતમ કરવામાં માહિર હતા. અંશુમન ગાયકવાડ લગભગ 2 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ રહ્યા. ભારતીય ટીમના કોચ રહેતા જ 1998માં શારજાહમાં ત્રિકોણીય સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. અંશુમન ટીમ ઇન્ડિયાના કોચ પણ હતા, જે 2000માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉપવિજેતા રહી હતી. સૌરવ ગાંગુલી એ ટીમવા કેપ્ટન હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp