ભારતની કાર્યવાહીથી બોખલાયું બાંગ્લાદેશ, આ સેવા સ્થગિત કરી દીધી
ભારત-બાંગ્લાદેશ તણાવ વચ્ચે, બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીયો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. દિલ્હીમાં કોન્સ્યુલર અને વિઝા સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આ અગાઉ, રવિવારે ભારતે બાંગ્લાદેશના ચટગાંવમાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC) ખાતે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. ભારતે ખુલના, રાજશાહી અને ચટગાંવમાં પણ વિઝા સેવાઓ સ્થગિત કરી હતી. ચટગાંવમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા હતા, અને પ્રદર્શનકારીઓ પર પર વિઝા ઓફિસ પર પથ્થરમારો કરવાનો આરોપ લાગ્યો હતો.
બાંગ્લાદેશના આ નિર્ણયને ભારત દ્વારા વિઝા સેવાઓ સ્થગિત કરવાના પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, બાંગ્લાદેશની મુલાકાત લેનારા ભારતીયોની સંખ્યા નહિવત્ છે, જેમાં ફક્ત પત્રકારો અને થોડા વેપારીઓ જ આવતા જતાં રહે છે. બાંગ્લાદેશી યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોના જવાબમાં ભારતે વિઝા સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. હાદીના મૃત્યુથી બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાં ભારત વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈને રવિવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં બાંગ્લાદેશી હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાહને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. હકીકતમાં, શનિવારે, દિલ્હીમાં બાંગ્લાદેશી મિશનની બહાર 20 થી 25 લોકોએ પ્રદર્શન કર્યું હતું.
જોકે, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રવિવારે બાંગ્લાદેશના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં બાંગ્લાદેશી હાઈ કમિશનમાં સુરક્ષામાં કોઈ ખામી નહોતી. પોલીસે ત્યાં પ્રદર્શનકારીઓને વિખેરી નાખ્યા હતા.
12 ડિસેમ્બરના રોજ, ઢાકાના બિજોયનગર વિસ્તારમાં એક ચૂંટણી રેલી દરમિયાન માસ્ક પહેરેલા હુમલાખોરોએ હાદીને માથામાં ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેને સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ગુરુવારે તેનું મૃત્યુ થયું હતું. હાદીના મૃત્યુ બાદ, સમગ્ર બાંગ્લાદેશમાં હિંસા, આગચંપી અને તોડફોડના બનાવો નોંધાયા હતા.
હાદીના અંતિમ સંસ્કાર દરમિયાન, ભીડે ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન, સોમવારે, નેશનલ સિટીઝન પાર્ટીના વર્કર્સ વિંગના વડા, મોતાલેબ શિકદરને ખુલનામાં ગોળી મારી દેવામાં આવી હતી. આ પાર્ટી વિદ્યાર્થી નેતા નાહિદ ઇસ્લામની છે, જે શેખ હસીના વિરોધી આંદોલનમાં એક અગ્રણી વ્યક્તિ માનવામાં આવે છે. ખુલના ઢાકા અને ચટગાંવ બાદ બાંગ્લાદેશનું ત્રીજું સૌથી મોટું શહેર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp