જાતિ વસ્તીગણતરીને લઇને મોદી સરકારનો મોટો નિર્ણય, ખેડૂતો માટે પણ આવ્યા ગુડ ન્યૂઝ
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 'સુપર કેબિનેટ' બેઠક થઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રીમંડળના કેટલાક ટોચના મંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જાતિ વસ્તી ગણતરી સહિત ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરકારે વસ્તી ગણતરીની સાથે જાતિ વસ્તી ગણતરી પણ કરાવવાનો નિર્ણય લીધો છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરી પણ કરાવવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે શિલોંગથી સિલચર વચ્ચે એક નવા હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ 22,864 કરોડ રૂપિયા હશે. આ સાથે, 2025-26 શેરડીની સીઝન માટે ખેડૂતોને રાહત આપતા, પ્રતિ ક્વિન્ટલ 355 રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને પણ મંજૂરી આપી છે.
વાસ્તવમાં, રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ એટલે કે CCPAને 'સુપર કેબિનેટ' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં કેન્દ્રીય કેબિનેટના ટોચના મંત્રીઓનો સમાવેશ થાય છે. CCPAના વર્તમાન સભ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે, જે તેના અધ્યક્ષ છે. આ સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનો પણ તેમાં સમાવેશ થાય છે.
પત્રકારોને સંબોધતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘આજે યોજાયેલી રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ કરવામાં આવશે. આને એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી જાતિ વસ્તી ગણતરી મૂળભૂત વસ્તી ગણતરીનો ભાગ રહી નથી. કેટલાક રાજ્યોએ પોતાના સ્તરે જાતિય સર્વેક્ષણો કર્યા છે, પરંતુ સામાજિક માળખાને સમજવા માટે એક સર્વાંગી અભિગમ જરૂરી છે. CCPAએ નિર્ણય લીધો છે કે હવે જાતિઓની ગણતરી આગામી વસ્તી ગણતરીમાં કરવામાં આવશે, કોઈ અલગ સર્વેક્ષણ હેઠળ નહીં.’
કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કોંગ્રેસ સરકારોએ હંમેશાં જાતિ વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું કે જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો કેબિનેટમાં ધ્યાનમાં લેવો જોઈએ. આ વિષય પર વિચાર કરવા માટે મંત્રીઓનું એક જૂથ બનાવવામાં આવ્યું હતું. મોટાભાગના રાજકીય પક્ષોએ જાતિગત વસ્તી ગણતરીની ભલામણ કરી હતી. આમ છતા, કોંગ્રેસ સરકારે જાતિ સર્વેક્ષણ અથવા જાતિ વસ્તી ગણતરી કરવાનો નિર્ણય ન લીધો.
તેમણે કહ્યું, કે એ વાત સારી રીતે સમજી શકાય છે કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ જાતિ વસ્તી ગણતરીનો ઉપયોગ માત્ર રાજકીય હથિયાર તરીકે કર્યો છે. કેટલાક રાજ્યોએ જાતિઓની ગણતરી માટે સર્વેક્ષણો હાથ ધર્યા છે. જ્યારે કેટલાક રાજ્યોએ તે સારી રીતે કર્યું છે, ત્યારે કેટલાક રાજ્યોએ માત્રરાજકીય દૃષ્ટિકોણથી બિન-પારદર્શક રીતે આવા સર્વેક્ષણો કર્યા છે. આવા સર્વેક્ષણોએ સમાજમાં શંકાઓ ઉભી કરી છે. એ સુનિશ્ચિત કરવા માટે રાજકારણથી આપણું સામાજિક માળખું નષ્ટ ન થાય, સર્વેક્ષણને બદલે વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ થવો જોઈએ. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બંધારણના અનુચ્છેદ 246 હેઠળ, કેટલીક રાજ્ય સરકારોને પોતાના સ્તરે સામાજિક સર્વેક્ષણ કરવાનો અધિકાર છે. પરંતુ જાતિય આંકડાનો સમાવેશ હવે કેન્દ્રીય વસ્તી ગણતરી હેઠળ કરવામાં આવશે, જેથી એકરૂપતા અને ચોકસાઈ જાળવી શકાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp