Monsoon Session of Parliament: આ વર્ષે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 12 ઑગસ્ટ સુધી ચાલુ રહેશે. સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે વિપક્ષ એક સાર્થક સત્ર ઇચ્છે છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ 2025ના ચોમાસુ સત્રમાં મોદી સરકારને કઠેડામાં ઊભી કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. પાર્ટીએ 5 મુખ્ય મુદ્દાઓની યાદી તૈયાર કરી છે, જેના પર તે સંસદમાં જોરદાર હુમલો કરશે. જેના કારણે ચોમાસુ સત્ર તોફાની રહેવાની શક્યતા ચાલો જાણીએ એ કયા મુદ્દા છે જેના પર કોંગ્રેસ મોદી સરકાર પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે.
ભારત-પાકિસ્તાન તણાવ પર ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે તો એવો દાવો પણ કર્યો હતો કે તેમણે વેપાર દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધ ટાળી દીધું હતું. કોંગ્રેસ પાર્ટી સરકારને સવાલ કરશે કે આવા કિસ્સાઓમાં ભારતની વિદેશ નીતિ અને રાજનીતિક પ્રતિક્રિયા આટલી નબળી કેમ હતી.
બિહારમાં મતદાર યાદીમાં સુધારો અને અન્ય રાજ્યોમાં અસંતુલન
વિપક્ષ પહેલાથી જ બિહારમાં મતદાર યાદીમાં સુધારા અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રક્રિયામાં કોઈ પારદર્શિતા નથી. કોંગ્રેસે આ મુદ્દે સંસદમાં સરકારને ઘેરવાની યોજના બનાવી છે.
જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો ક્યારે મળશે?
કોંગ્રેસ કેન્દ્રશાસિત પ્રદેશ બનેલા જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ પર ભાર મૂકશે. પાર્ટીનું કહેવું છે કે કેન્દ્ર સરકારે ઘણી વખત આશ્વાસન આપ્યું છે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
દેશભરમાં મહિલાઓ પર અત્યાચાર
કોંગ્રેસે મણિપુરથી લઈને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સુધી મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પર સરકારને ઘેરવાની યોજના બનાવી છે. વિપક્ષ મહિલાઓની સુરક્ષા, ન્યાય અને ઝડપી કાર્યવાહીના મુદ્દા પર સરકારની જવાબદારી નક્કી કરવાનો પ્રયાસ કરશે.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: પારદર્શિતા અને તપાસનો સવાલ
તાજેતરમાં જ થયેલા એર ઇન્ડિયા અકસ્માત અંગે, કોંગ્રેસ સરકારને સવાલ કરશે કે અત્યાર સુધી તપાસ અહેવાલની સ્થિતિ શું છે, કયા સ્તરે બેદરકારી થઈ અને કેટલી પારદર્શિતા જાળવી રાખવામાં આવી રહી છે. AAIBના પ્રાથમિક અહેવાલ બાદ, વિપક્ષ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે.
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર 21 ઑગસ્ટ સુધી ચાલશે અને આ વખતે મોદી સરકાર ગૃહમાં લગભગ 16 નવા બિલ રજૂ કરી શકે છે, જેમાંથી 8 નવા અને 8 જૂના બિલ હોઈ શકે છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ચોમાસુ સત્રની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ ચોમાસુ સત્ર બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 15 ઑગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી છે, જેના કારણે 13 અને 14 ઑગસ્ટે સદન નહીં ચાલે. ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલાં 20 જુલાઈએ સવારે 11:00 વાગ્યે એક સર્વપક્ષીય બેઠક યોજાશે, જેમાં સત્રના એજન્ડા અને બિલો પર ચર્ચા કરવામાં આવશે.