કોવિડ રસી કે રસીનું પ્રમાણપત્ર ફરજિયાત નથી... કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટ સમક્ષ ચોખવટ
નેશનલ ડેસ્ક: ભારતે 16મી જાન્યુઆરી 2021થી દેશમાં કોવિડ-19 રસીકરણ શરૂ કર્યું હતું. રસીકરણને એક વર્ષ પૂર્ણ થયાના થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી ચોખવટ કરવામાં આવી છે કે, દેશમાં ક્યાંય પણ કોરોના વિરોધી રસીનુ સર્ટીફીકેટ કોઈપણ કામ કરાવવા માટે બતાવવાનો નિયમ કેન્દ્ર સરકારે દિશાનિર્દેશોમાં જાહેર કર્યો નથી.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 13 જાન્યુઆરી, 2022ના રોજ દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, 'કોઈપણ વ્યક્તિને તેની ઈચ્છા વિરુદ્ધ કોરોના વાયરસ સામે રસી લેવા માટે દબાણ કરવામાં આવશે નહીં.' કોરોનાવાયરસ અંગેની કેન્દ્ર સરકારની જાહેર થયેલી ગાઈડ લાઈનમાં આ પ્રકારનો કોઈ નિયમ જાહેર કરવામાં આવ્યો નથી.
એક બિનસરકારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારના ઉપરોક્ત નિયમોની સામે કરવામાં આવેલી અરજીને પગલે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેમાં ઉપરોક્ત મહત્વની ચોખવટ કરવામાં આવી હતી.સોગંદનામામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ વ્યક્તિની મરજી વિરુદ્ધ રસી આપવાની કોઈ સૂચના કે નિયમ કેન્દ્ર સરકાર દ્વારા કે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. રસી લેવા માટે જે તે વ્યક્તિની સહમતી જરૂરી છે.
કોરોનાના ફેલાવા દરમિયાન કોરોના રસીકરણ હાલમાં બધા માટે ફાયદાકારક છે તે વાત પર ભાર મૂકતા, સરકારે કહ્યું, "લોકોને વિવિધ પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા આ સલાહ અને જાહેરાત દ્વારા રસી રસી મુકાવવાની અપીલ કરવામાં આવે છે અને કોરોનાવાયરસની સામે સંઘર્ષ કરવા માટે રસી લેવી જોઈએ તેવી સમજાવટ કરવામાં આવે છે પરંતુ કોઈપણ વ્યક્તિની સંમતિ વિના તેને બળજબરીપૂર્વક રસી આપવાની વાત કરવામાં આવી નથી."
કેન્દ્રએ કોર્ટને કહ્યું છે કે વિકલાંગો પર આવો કોઈ નિયમ લાદવામાં આવ્યો નથી કારણ કે તેમને કોરોના રસીકરણ પ્રમાણપત્ર બતાવવાથી મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે અદાલતને કહ્યું છે કે, 'અમે રસીકરણ પ્રમાણપત્ર ફરજિયાત બનાવવા માટે કોઈ નિયમો લાગુ કર્યા નથી.' એક બિન-સરકારી સંસ્થા અવારા ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો જવાબ આપતાં કેન્દ્રએ તેના સોગંદનામામાં આનો ઉલ્લેખ કર્યો છે. પિટિશનમાં વિકલાંગ વ્યક્તિઓના ઘરે-ઘરે રસીકરણની માંગ કરવામાં આવી છે.16મી જાન્યુઆરી, 2021થી દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયું હતું. સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. બીજા તબક્કામાં, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારી ધરાવતા લોકો માટે અને બાદમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 45 વર્ષથી 18 વર્ષની વયના લોકોને રસીકરણ આપવામાં આવ્યું હતું. 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ આ વર્ષમાં 3 જાન્યુઆરી 2022એ શરૂ કરવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp