રાજ્યમાં ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલે તંત્રની સતર્કતા-સજ્જતાની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશા-નિર્દેશ આપ્યાં હતા. ગતરોજ પણ રાજ્યના ખાસ કરીને બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 36 કલાકમાં રાજ્યભરમાં વરસાદ પડ્યો છે, જેમાં ઇ 109 વ્યક્તિઓનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું, જ્યારે 120 જેટલા વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે અને રાજ્યમાં વરસાદને કારણે 18 લોકોના મોત થયા છે. કચ્છના સામખિયાળીમાં ચાલુ વરસાદે વીજ તાર તૂટી પડતા 5 પશુઓના મોત થયા હતા. જ્યારે રાજ્યના 12953 ગામડામાં વીજ પુરવઠો ખોટકાઇ ચૂક્યો છે. તેમજ 1 નેશનલ હાઇવે સહિત કુલ 134 માર્ગો પર વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના પગલે NDRFની 5 અને SDRF 20 ટીમોને મેદાનમાં ઉતારાઇ છે. NDRFની 10 ટીમોને સ્ટેન્ડબાય રાખવામા આવી છે. આગામી 21 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઇ છે.
હવામાન વિભાગે 23 જૂન સુધી રાજયમાં વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ આજે 18 જૂનના રોજ અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ ભાવનગર અને બોટાદમાં આજે તમામ શાળાઓમાં રજા રાખવા આદેશ કરાયો છે.
બોટાદના લાઠીદડ ગામ નજીક ઈકો કાર તણાઈ જવાને મામલે 24 કલાક બાદ પણ 5 લોકો લાપતા છે. ઇકોમાં કુલ 9 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોનો બચાવ થયો હતો. જ્યારે નયનાબેન યશવંતભાઇ વાવેતા અને મંજુબેન કનુભાઈ વાવેતાનો મૃતદેહ ગમંગળવારે મળ્યો હતો. જ્યારે હજી ગીતાબેન મહેશભાઈ ચૌહાણ, હિતુબેન મહેશભાઈ ચૌહાણ, બાબુભાઈ તુલશીભાઈ ચૌહાણ, શારદાબેન બાબુભાઈ ચૌહાણ અને ઉર્વશીબેન મહેશભાઈ ચૌહાણ હજી લાપતા છે. NDRFની ટીમ દ્વારા શોધખોળ કરાઇ રહી છે. ભાવનગરના મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં તેજ પાણીના પ્રવાહમાં એક વૃદ્ધ તણાયા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેમને 2 કલાક બાદ રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા.