આનંદીબેન પટેલનો ઘા, હાર્દિકને રોકડું પરખાવ્યું, ફઈને નહી સાહેબને મળી લો અને કહેજો આંદોલનમાં જનરલ ડાયરની શું ભૂમિકા હતી
ગુજરાત ડેક્સ : ગઈકાલ સુધી ભાજપ માટે જે દેશદ્રોહી હતો તે તક સાધુ હાર્દિક પટેલ કેસરિયા રંગે રંગાતાં હવે દેશપ્રેમી બની ચૂક્યો છે. કોંગ્રેસ સાથે ફારગતિ લીધા બાદ ગઈકાલે ભાજપ સાથે નાતરું કરનાર હાર્દિક સામે વિરોધ-વંટોળ જાેવા મળી રહ્યો છે. પોતાની જાતને સિંહ કહેનાર હવે પોતાની સરખામણી ખિસકોલી સાથે કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફેંકુ, અમિત શાહને જનરલ ડાયરની ઉપમા આપનાર તક સાધુને પ્રથમ ગ્રાસે મક્ષિકા મળી છે. હાર્દિકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ સામે આનંદીબેને રોકડું પરખાવ્યું હતું અને કહ્યું હતું કે, ફઈને નહી સાહેબને મળી લો અને કહેજાે આંદોલનમાં જનરલ ડાયરની શું ભૂમિકા હતી.
તક સાધુ હાર્દિકના આંદોલનના કારણે આનંદીબેનને રાજીનામું આપવાની ફરજ પડી હતી હવે આ તક સાધુ વ્હાલો થવા માટે આનંદીબેનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે ત્યારે આનંદીબેને તક સાધુને જડબાતોડ જવાબ આપીને ઔકાત બતાવી દીધી છે. આનંદીબેન પટેલ તક સાધુના કારનામા ભૂલ્યા નથી અને ભાજપમાં ભલે આવ્યો હોય પણ કદ પ્રમાણે વેતરવામાં કોઈ કસર બાકી રાખશે નહી તે નક્કી છે. હાલ ભાજપમાં પણ હાર્દિકને લઈ મોટાભાગના નેતાઓમાં નારાજગી છે પણ કોઈ ખૂલીને બોલતું નથી. વિધાનસભાની ચૂંટણીમાં તક સાધુ ભાજપને ફાયદો નહી પણ નુકસાન કરાવશે તેવો મત પણ કેટલાક ભાજપના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે.
પાટીદાર સમાજના ખભે બંદૂક મૂકીને પોતાના રાજકીય રોટલા શેકવા માટે નીકળેલા તક સાધુ હાર્દિકને પાટીદાર સમાજ નહી પણ રાજ્યની સાડા છ કરોડ જનતા સારી રીતે ઓળખી ચૂકી છે. પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા અને મોટા રાજકીય નેતા બનવા માટે પાટીદાર સમાજ સાથે દ્રોહ કર્યો તો કોંગ્રેસમાં સાડા ત્રણ વર્ષ રહ્યા બાદ એકાએક મોહભંગ થઈ ગયો અને સત્તાલાલસા માટે ભાજપમાં જવાનું પસંદ કર્યું અને દેશદ્રોહી હવે દેશપ્રેમી બની ચૂક્યો છે ત્યારે તેના ઉપર હજુ માછલા ધોવાઈ રહ્યા છે. તક સાધુ હાર્દિકને 3 તારીખે પત્રકારોના સવાલના જવાબ આપવામાં પરસેવો પડી ગયો હતો અને ગોથે ચડ્યો હતો.
હાર્દિકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમનો સમય માગ્યો હતો પણ આનંદીબેને જનોઈ વઢ ઘા કર્યો હતો અને રોકડું પરખાવતાં કહ્યું હતું કે, ફઈને નહી સાહેબને મળી લો અને કહેજો આંદોલનમાં જનરલ ડાયરની શું ભૂમિકા હતી. ગઈકાલે કેસરિયા કર્યા બાદ આ તકસાધુએ કહ્યું હતું કે, મારા પિતાએ આનંદીબેનને ચૂંટણીમાં ખૂબ મદદ કરી હતી અને મારા પિતા માટે તેઓ રાખડી મોકલતા હતા. તક સાધુ હાર્દિકના આંદોલનના એ વર્ષો આનંદીબેન આજીવન ભૂલી શકે તેમ નથી. તેના કારણે જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને ૨૦૧૫માં ગુજરાત જે રીતે ભડકે બળ્યું હતું તે ભાગ્યે જ કોઈ ભૂલી શકે તમ છે. ભાજપમાં આવ્યા બાદ તક સાધુએ આંદોલનને લઈ પણ કહ્યું હતું કે, જે કંઈ પણ મિલકતો સળગી હતી તે સળગાવવા હું નહોતો ગયો પણ અસામાજિક તત્વોએ સળગાવી હતી. કાચિંડાને પણ શરમાવે તેવા રંગ બદલવામાં માહેર તક સાધુ હાર્દિકને ભાજપે કદ પ્રમાણે વેતરી નાખ્યો છે અને આગળ પણ એવી જ રીતે કટ ટુ સાઈઝ કરીને પોતાની ઔકાત શું છે તે બતાવવામાં આવશે તે નક્કી છે. આનંદીબેન પટેલે રોકડું પરખાવ્યા બાદ હાર્દિક પટેલની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ હતી. કમલમમાં 2 તારીખે હાર્દિકના કેસરિયા સમયે ભાજપે વિરમગામ બેઠકના પ્રબળ દાવેદાર કમાભાઈ રાઠોડ અને ડો.તેજશ્રી પટેલને સ્ટેજ ઉપર સ્થાન આપી મોગમમાં ઈશારો કરી દીધો હતો કે, આ કોંગ્રેસ નથી કે તને રાતોરાત ટિકીટ મળી જશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp